ભોલાવ ગ્રામ પંચાયતના વોર્ડ નં 24નાં ઉમેદવાર બીનહરીફ ચૂંટાયા
ભરૂચ: ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં ભાજપની જ બે પેનલ સામ-સામે ટકરાઈ છે. જે પૈકીની પ્રગતિશીલ પેનલના એક ઉમેદવાર બીનહરીફ ચૂંટાઈ આવતા આખી પેનલમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. યુવરાજસિંહ પરમારના નેતૃત્વવાળી પ્રગતિશીલ પેનલમાંથી વોર્ડ નં 24માં ઉમેદવારી કરનાર મનોજભાઈ જમનાદાસ મહેતાનાં વોર્ડમાં સૂર્યનારાયણ, નારાયણ એવન્યુ, સમૃધ્ધી બંગ્લોઝ, સુરભી સોસાયટી અને આસપાસનો વિસ્તાર આવે છે.
તેમની સામે ભવ્ય વિકાસ પેનલના ઉમેદવાર જીતુભાઈ રાણાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ ઉપરાંત આ વોર્ડમાંથી સરપંચ પદ માટે અપક્ષ ઉમેદવારી કરનાર મયુરીબેન કમલેશભાઈ પરમારનાઓએ પણ ઉમેદવારીપત્ર પરત ખેંચી લઈ મનોજભાઈને અને પ્રગતિશીલ પેનલને ટેકો જાહેર કર્યો હતો. આમ પ્રગતિશીલ પેનલના એક સભ્ય પંચાયતની બોડીમાં ચૂંટાઈ આવતા સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. યુવરાજસિંહ પરમારે જણાવ્યુ હતું કે, ભુતકાળમાં અને ખાસ કરીને કોરોના કાળમાં અમે જે રીતે લોકોની સેવા કરી હતી આ તેનું ફળ છે. અમે આવનારા દિવસોમાં પણ ભોલાવના લોકોની સેવામાં ખડે પગે રહીશું.