ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગી કરણ થતાં આશ્રયસ્થાન હટાવવાની હિલચાલથી 50 નિરાશ્રિતો બેધર થશે
-સેવાયજ્ઞા સમિતિ દ્વારા કાયમી આશ્રય સ્થાન બનાવવા માટેની જગ્યા ફાળવવાની માંગણી
ભરૂચ તા.3 ડિસેમ્બર 2019 મંગળવાર
ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ કરાતા સિવિલ સંકુલમાં નિરીશ્રાતો માટે આશીર્વાદરૃપ એવા સેવાયજ્ઞા સમિતિનાં હંગામી આશ્રયસ્થાન હટાવવાની હિલચાલથી શિયાળામાં જ તેઓના માથેથ છત હટી જાય તેમ છે. તેથી સેવાયજ્ઞા સમિતિ દ્વારા કાયમી આશ્રય સ્થાન બનાવવા માટેની જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવતા ગરીબ નિરાધાર દર્દીઓ અને અન્યો માટે પણ સ્વાસ્થ્ય સંબંધીત સેવા અને ભોજન પણ સેવા યજ્ઞાસમિતિ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. જેનો હજારોની સંખ્યામાં આવા દર્દીઓ અત્યાર સુધી લાભ લઇ ચુક્યા છે.
આ ઉપરાંત સેવા યજ્ઞા સમિતિ દ્વારા સિવિલ હોસ્પીટલના વિશાળ ગ્રાઉન્ડમાં પાછળના ભાગે તેઓને ફાળવી આપવામાં આવેલ જગ્યામાંથી સારવાર બાદ સ્વસ્થ થયેલા પરંતુ ગરીબ નિરાધાર અને ગમે ત્યારે સારવારની જરૃર ઉભી થાય તેવો લોકો માટે હંગામી ધોરણે શેડ ઉભો કરી તેઓને આશ્રય પુરો પાડવામાં આવી રહ્યો છે. જેમ હાલમાં 50 થી વધુ દર્દીઓ આશ્રય લઇ રહ્યા છે.
હાલમાં ભરૂચ સિવિલ હોસ્પીટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે નવીનીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સેવા યજ્ઞા સમિતિનો નિરાધારો માટેના હંગામી આશ્રય સ્થાન ને હટાવવા માટેની હિલચાલ શરૃ થતા શિયાળામાં જ નિરાધારો ના માથેથી છત છીનવાઇ જાય તેવા સંજોગો સર્જાઇ રહ્યા છે. જેથી સેવા યજ્ઞા સમિતિના સંસ્થાપક અને તેમના સહયોગીઓ ચિંતામાં મુકાયા છે.
વર્ષોથી સેવાયજ્ઞા સમિતિ દ્વારા- નિરાધારો માટે કાયમી આશ્રયસ્થાન બનાવવા માટેની જગ્યાની ફાળવણી માટેની માંગણી કરી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી હાલમાં હંગામી આશ્રય મેળવી રહેલા દર્દીઓને કયાં ખસેડવા તે પ્રશ્ન પણ ઊભો થવા પામ્યો છે. તેમજ ૩૦૦ જેટલા આવા નિરાધારો માટે કાયમી આશ્રય સ્થાન માટે સરકાર જગ્યા ફાળવે તેવી માંગ કરી રહ્યા છે.
સેવાની ધૂણી ધખાવનાર ભરૂચની સેવા યજ્ઞા સમિતિ ના કાયમી આશ્રય સ્થાન માટેની માંગણી અંગે સરકારી તંત્ર સુધી પહોંચાડવા પ્રજાના પ્રતિનિધિઓ સહાયરૂપ બને તે જરૂરી છે.