Gujarat

ભરણ ગામે શેરડીનાં ખેતરમાં પાંચ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા મોત

By GS Team
4 Jan 20201 min read
This article was originally published on 4 Jan 2020
ભરણ ગામે શેરડીનાં ખેતરમાં પાંચ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા મોત

અંક્લેશ્વર તા.4 જાન્યુઆરી 2020 શનિવાર

અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામની સીમમાં શેરડી કાપતા શ્રમજીવી પરિવારનાં પાંચ વર્ષનાં બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.દીપડાનાં હુમલાને પગલે મજૂર વર્ગ સહિત ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

ભરૂચ અને સુરત જિલ્લાની હદ પર અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામની સીમમાં ગામના ખેડૂતનાં  ખેતરમાં સુગર ફેક્ટરીનાં  મહારાષ્ટ્રનાં  નંદુરબાર વિસ્તારનાં શ્રમજીવીઓ શેરડીની કાપણીની કામગીરી કરે છે. તા.૪થી ની સવારનાં  અરસામાં પીન્ટુ વળવે તેમના પરિવારજનો સાથે શેરડી કાપવાની કામગરી કરી રહ્યા હતા.

તે દરમ્યાન અચાનક તેમના પાંચ વર્ષીય પુત્ર કિશન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમ્યાન બુમાબુમ થતા અન્ય શ્રમજીવીઓ પણ દોડી આવ્યા હતા. 

જો કે દીપડો હુમલો કરી ભાગી છૂટયો હતો.  દીપડાનાં  હુમલામાં ગંભીર રીતે ઘાયલ કિશન ને તાત્કાલિક સારવાર અર્થે સૌ પ્રથમ  સુરત જિલ્લાનાં કોસંબાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે કિમ ખાતેની હોસ્પિટલ ખાતે ખસેડાતા બાળક  કિશનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. 

આ ઘટનાની જાણ અંકલેશ્વર વનવિભાગ ને કરાતા વન વિભાગની ટીમ દોડી આવી દીપડાને ઝડપી પાડવા માટે ૩ પાંજરા ગોઠવ્યુ હોવાનું વન અધિકારી  જણાવ્યુ હતુ. આ ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં કરાતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.