શક્કરપોર ગામે બ્રિજની કામગીરી સમયે લોખંડની પ્લેટ કામદાર ઉપર પડતાં મોત
-અન્ય ત્રણ કામદારને ઈજાગ્રસ્ત
અંક્લેશ્વર તા.30 જુન 2020 મંગળવાર
અંકલેશ્વર તાલુકાનાં શકકરપોર ગામ પાસે વડોદરા મુંબઈ એકસપ્રેસ હાઇવેનાં બ્રિજની કામગીરી દરમ્યાન લોખંડની પ્લેટ પડતા એક કામદારનું મોત થયુ હતું. જ્યારે ત્રણ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. વિશાળ કાય ક્રેઇન નાં ડ્રાયવરે સંતુલન ગુમાવી દેતા અકસ્માતનો બનાવ બન્યો છે.
વડોદરા અને મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલા એકસપ્રેસ હાઇવેની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.આ કામગીરી શરુ થઇ ત્યારથી કોઈક ને કોઈક કારણોસર વિવાદમાં સપડાતી રહી છે. તા.૩૦ મી ને મંગળવારની સવારે અંકલેશ્વર તાલુકાનાં શકકરપોર ગામ નજીક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહયુ છે.
બ્રિજ પર મોટી પ્લેટને ચઢાવવા માટે વિશાળ ક્રેઇનની મદદ લીધી હતી.પ્લેટ બ્રિજ પર ચઢાવતી વેળા અચાનક ક્રેઇન અસંતુલિત બની હતી. દુર્ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા પંકજસિંગ હરિસિંગ રહેવાશી ઉત્તરાખંડ પ્લેટ વાગી જતા તેનું મોત નીપજયું હતુ .તેમની સાથે કામ કરી રહેલા રોહિતસિંગ કરમસિંગ ,અરુણસિંગ અને હરેન્દ્રકુમાર નામનાં કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર વિભાગીય પોલીસવડા તેમજ તાલુકા પોલીસ મથકનાં પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો .જરૃરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી દરમ્યાન તાજેતરમાં દિવા ગામનાં ખેડૂતોએ જમીનનાં વળતર મુદ્દે કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો , જે ઘટનાનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાંજ એક્સપ્રેસ વેની કામગીરીને અક્સ્માતનું ગ્રહણ નડયુ હતુ.