ભરૂચ શહેરમાં 9 થી 22 ફૂટની માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરાઈ
-આ વર્ષે સૌથી વધુ ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ તરફ યુવક મંડળોનો ક્રેઝ
ભરૂચ તા.2 સપ્ટેમ્બર 2019 સાેમવાર
ભરૂચ શહેરમાં ઠેર ઠેર ઈકો ફ્રેન્ડલી તથા માટીની પ્રતિમાની સ્થાપના કરી શ્રીજી મહોત્સવનો પ્રારંભ કરાયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન્સ મુજબ પાવન સલીલામાં નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ વિસર્જન નહીં કરવાના આદેશનો કડકાઈથી પાલન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો હતો.
જો કે 9 થી 30 ફૂટ ઉંચી તમામ પ્રતિમાઓ ભાડભૂત ખાતે વિસર્જન કરવાની પ્રક્રિયા લગભગ બે દિવસ ચાલી હતી.જેને લઈ શ્રીજી યુવક મંડળો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગત વર્ષે શ્રીજી ની પ્રતિમાને વિદાય આપવામાં પરેશાન થયેલા શ્રીજી યુવક મંડળોએ આ વર્ષે નાની તથા માટી અને ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો હતો. ભરૃચમાં મોટી માત્રામાં આયોજકોએ માટી અને ઈકો ફ્રેન્ડલીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો.
ભરૂચ શહેરના શ્રીજી આયોજકોને ઈકો ફ્રેન્ડલી તથા માટીની પ્રતિમા ખરીદવા માટે થોડા રૃપિયા વધુ ખર્ચવા પડયાં હતા પરંતુ લોકો માં જાગૃતતા જોવા મળી રહી છે.ભરૂચ ના શ્રીજી આયોજકોએ સુરતમાં મૂતકારો પાસે માટીની પ્રતિમાઓ બનાવી હોવાના કારણે શ્રીજીની પ્રતિમાઓમાં સુંદરતા જોવા મળી રહી છે.
હજુ શ્રીજી આયોજકો આવનાર સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનો બહિષ્કાર કરી માત્ર ઈકો ફ્રેન્ડલી અને માટીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.તે માટે ગણેશ મહોત્સવના આઠ દસ મહિના પૂર્વે જ આ માટેની કવાયત તંત્ર દ્વારા કરવામાં આવે તો હજુ વધુ ગણેશ મંડળો આવતા વર્ષે માટીની ગણેશ પ્રતિમાનું સ્થાપન કરશે તેમ લાગી રહ્યું છે.