Gujarat

લકઝરી બસ અને ટેન્કર વચ્ચે લુવારા પાસે અકસ્માતઃ ત્રણ વ્યક્તિના મોત

By GS Team
20 Jan 20202 mins read
This article was originally published on 20 Jan 2020
લકઝરી બસ અને  ટેન્કર વચ્ચે  લુવારા પાસે  અકસ્માતઃ ત્રણ વ્યક્તિના મોત

ભરૂચ તા.20 જાન્યુઆરી 2020 સાેમવાર

ભરૂચ વડોદરા  વચ્ચે ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર લુવારા પાસે ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે  સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 3 ના મોત થયા  હતા જ્યારે અન્ય 20 થી વધુને ઇજા થઈ હતી.

 સુરતથી મુસાફરો  સાથે ખાનગી લકઝરી બસ સૌરાષ્ટ્રના ગારીયાધર જવા રાત્રે  નીકળી હતી.જે રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી મધ્યરાત્રી એ ભરૃચ પસાર કરી વડોદરા તરફ જઈ રહી હતી. તે દરમ્યાન લુવારા પાસે યુ ટર્ન લઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે તેમાં સવાર મુસાફરોની દર્દભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.અકસ્માતમાં બસના આગળના ભાગનો ખુરદો થઈ  ગયો હતો.

તેમાં સવાર 20 થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા થતાં તમામને સારવાર માટે 108  દ્વારા  ભરૂચ  લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી એક મહિલા સહિત ૩ ના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય ૨ ની હાલત ગંભીર જણાતી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલાએ દોડી આવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને અકસ્માત સંદભેં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

 ભરૂચની નર્મદા ચોકડીથી પાલેજ સુધીના નેશનલ હાઈવે ઉપર અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે.જેમાં દોઢ માસ પહેલા લુવારા નજીક ટેન્કર અને લક્ઝરી બસમાં અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા બસમાં સવાર ત્રણ મુસાફરો જીવતા ભૂંજાયા હતા.ત્યાર બાદ અસુરીયા નજીક બે જૈન સાધ્વીઓ ને અજાણયા વાહન ચાલકે અડફેટમાં લેતા સાધ્વીઓના મોત નિપજ્યા હતા

.જે  અનેક નાના મોટા અકસ્માતો માં પણ અનેક વાહન ચાલકોના જીવ ગયા છે.  આજે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થતા નેશનલ હાઈવે  48  વાહન ચાલકો માટે યમદૂત બની ગયો હોવાનું લોકો માની રહ્યા છે. 

 -અકસ્માતમાં ઈજાગ્રસ્તો રોડ ઉપર  માલસામાન સાથે ઠંડીના કારણે ઠુંઠવાયા 

 ભરૃચ જિલ્લામાં શિયાળાની ઠંડીમાં લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે.પરંતુ નેશનલ હાઈવે નંબર ૪૮ પાસે સર્જાયેલા અકસ્માત માં 35 થી વધુ ઈજાગ્રસ્ત મુસાફરો પોતાના નાના બાળકો સાથે  રોડ ની સાઈડ ઉપર શિયાળાની ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડયા હતા. ભરૂચની નર્મદા ચોકડીથી પાલેજ વચ્ચે દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસે અંકુશ લાવવાની જરૂર જણાઈ રહી છે કારણ કે આ માર્ગ ઉપર પંદર દિવસમાં ત્રણ અકસ્માત ના બનાવો બન્યા હોવાની માહિતી સાંપડી રહી છે.  

-અકસ્માતના પગલે લુવારા થી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની લાંબી કતારજામી

 ભરૂચ ના નેશનલ હાઈવે નંબર  48 ઉપર વહેલી સવારે  ચાર કલાકે સર્જાયેલા અકસ્માતમાં લક્ઝરી બસ હાઈવે ઉપર જ રહી હતી.  ટેન્કર અકસ્માત બાદ રોડ ઉપર ફંગોરાઈ જતા રોડ વાહન વ્યવહાર માટે બંધ થઈ જતા લુવારા ગામ થી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનો ની લાંબી કતારો જામી ગઈ હતી.જે પોલીસે કલાકો ની જહેમત બાદ વાહન વ્યવહાર ને રાબેતા મુજબ કરવાની કામગીરી કરી હતી. 

-અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ

(1) જસુબેન મગનભાઇ ચાવડા(ઉ.વ.42),(2)મનીષભાઇ અનંતભાઇ જોષી(ઉ.વ.40),(3)પ્રકાશભાઇ ઠાકરસીગભાઇ ગોરાસીયા(ઉ.વ.31) ત્રણેય મૃતકો રહવાસી ભાવનગરના જાણવા મળ્યુ છે.