ભરૂચમાં શિક્ષિકાના ત્રાસથી ભાગી ગયેલી ધો- 5 ની વિદ્યાર્થિની પુણાથી મળી
-સગીર વયના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ગુમ થઈ હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી
ભરૂચ તા.13 માર્ચ 2020 શુક્રવાર
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી બે સગીર વયના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ગુમ થયા હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી.જેમાં વિદ્યાર્થીની પુણાથી મળી આવી હતી.જયારે વિદ્યાર્થી પણ મળી આવતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો.વિદ્યાર્થીની ગુમ થવાના પ્રકરણમાં શાળા શિક્ષકોની પજવણી સામે આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ભરૂચની નારાયણ નગર 4 માં રહેતા મધુસુદન ધુલે ની 11 વર્ષીય પ્રગતિ ધો-5 માં મહાત્મા ગાંધી રોડ આવેલી સ્કૂલમાં અભ્યાસ અર્થે ગઈ હતી.જ્યાં થી બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનો ચિંતાતુર બન્યા હતા .
મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા આખરે વિદ્યાર્થીનીની ગુમ થઈ હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.જે ગુમ થયેલી પ્રગતિ પુણાના રેલવે સ્ટેશને હોવાની જાણ ટેલીફોનીક થતા પરિવારજનો ખુશખુશાલ થયા હતા.
ગુમ થયેલી પ્રગતિએ પોતાની શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળી જઈ પોતાની સાયકલ લઇ ભરૃચ રેલવે સ્ટેશન પહોંચી સાયકલને સ્ટેશને મૂકી ટ્રેન મારફતે પુના જતી રહી હતી .વિદ્યાર્થીની એ પોતાની સાથે શિક્ષિકાએ ગુજારેલા અત્યાચાર અંગે ઘટસ્ફોટ થતા શાળા શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.વિદ્યાર્થીની એ શિક્ષકના ત્રાસથી કંટાળી પગલું ભર્યા હોવાના નિવેદનના પગલે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
બીજ તરફ અયોધ્યાનગર ઝુપડપટ્ટીમાં રહેતા જગદીશભાઈ પરમાર નો 11 વર્ષીય નીલ પણ ગુમ થયો હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી. નીલ મોડી રાત્રીથી વહેલી સવારે તેના મિત્ર નીલકંઠ ઝુપડપટ્ટીમાં રહેતો હોઈ અને તેના ઘરે ઊંઘી ગયો હોવાનું સામે આવ્યા બાદ ગુમ થયેલો નીલ પણ મળી આવતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચ એ ડિવિઝન પોલીસે બંને ગુમ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ના નિવેદન લઇ બંને ને ફરિયાદ નો નિકાલ કર્યાે હતો.