સરભાણ ગામના 19 વર્ષના યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો
ભરૂચ: આમોદના સરભાણ ગામના 19 વર્ષના યુવાન નરેશ ઉર્ફે રાહુલ રઈજી રાઠોડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘરમાં એકલતાનો લાભ લઈ ખાટલાનાં ટેકે સાલનો ગાળ્યો બનાવી ઘરના લાકડાં ઉપર લટકી ગયો હતો. યુવાનના આ પગલાંની જાણ આમોદ પોલીસને થતાં તુરંત સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે યુવાનના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલની પણ મદદ લીધી હતી. એફ.એસ.એલે યુવાનના ડી.એન.એ.સેમ્પલ તથા વિશેરા લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતાં.પોલીસે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનોને મૃતદેહનો કબ્જો આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે યુવાનની માતા અગાઉ મૃત્યુ પામી હતી. તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા છે. જે વડોદરા ખાતે રહે છે. જેથી નરેશ ઉર્ફે રાહુલ રાઠોડ તેમના નાના નાની સાથે સરભાણ ગામે રહેતો હતો.તે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.યુવાને કયા કારણોસર ફાંસો ખાધો તે હજી જાણી શકાયું નથી. પોલીસે તેના પરિચીતોને પુછપરછ હાથ ધરી મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.