ધર્માતરણ રેકેટમાં 4 શખ્સોની ધરપકડ
પકડાયેલા આરોપીઓ હિન્દુમાંથી મુસ્લીમ બન્યા હતા
Updated: Nov 17th, 2021
ભરૂચ: આમોદના ધર્માતરણ પ્રકરણમાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે. આ પ્રવૃતિમાં સંડોવાયેલા 9 પૈકી 4 આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી મુસ્લીમ બન્યા હતાં. ત્યારપછી તેઓ પણ આ પ્રવૃતિમાં જોડાયા હતાં.
આ કેસની તપાસ કરતાં SC/ST સેલના ડીવાયએસપી એમ.પી ભોજાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ગઈકાલે અબ્દુલ અજીજ પટેલ, યુસુફ જીવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલને પકડી પાડ્યા છે. આ શખ્સોએ કાંકરિયાના 37 પરિવારના 130 જેટલા લોકોનું ધર્માતરણ કરાવ્યુ હતું. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ચારેયનું મૂળ નામ અનુક્રમે અજીત છગન વસાવા, મહેન્દ્ર જીવણ વસાવા, રમણ બરકત વસાવા, જીતુ પુના વસાવા હતું. ધર્મ બદલ્યા પછી તેઓ ખુદ આ પ્રવૃતિમાં જોડાય ગયા હતાં.
પોલીસે પકડાયેલા આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તેઓની કડક અને ઝીણવટપૂર્વકની પુછપરછ હાથ ધરાશે. આ પ્રવૃતિમાં ફંડ કઈ રીતે આવતુ હતું, કાંકરીયા સિવાય જિલ્લાના અન્ય કયા ગામોમાં આ પ્રકારની પ્રવૃતિ ચાલતી હતી. અન્ય કેટલા લોકોની સંડોવણી હતી. તેમજ કયા પ્રકારે હિન્દુઓને લાલચ આપી માઈન્ડ વોશ કરાતુ હતું તે વિગતો પોલીસ ઉજાગર કરી શકશે.
અન્ય આરોપીઓને પકડવા પોલીસે ત્રણ ટીમ બનાવી
ભરૂચ: ધર્માતરણ રેકેટમાં સંડોવાયેલા 9 પૈકી પોલીસે 4 આરોપીઓને તો પકડી પાડ્યા છે. પરંતુ 5 આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. તેમજ આ પ્રકરણમાં હજુ પણ અન્ય નામ બહાર આવે તેવી સંભાવના છે. જેથી પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે કમર કસી છે.