થરાદના ડુવામાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીને 10 વર્ષની કેદ
- ચાર વર્ષ અગાઉ ઘટના બની હતી
- દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
પાલનપુર, તા. 27 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
થરાદ તાલુકાના ડુવા ગામે ચાર વર્ષ અગાઉ બે શખસો સામે એક સગીરાને ઉપાડી જઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસ દિયોદરની એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સમાજ માટે કલંક સમાન દુષ્કર્મના ગુનામાં બન્ને આરોપીને દશ દશ વર્ષ સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.
થરાદના ડુવા ગામે રહેતા એક પરિવારની બાળકી તા. ૨૪ મે ૨૦૧૬ના રોજ ગામના ગલ્લે સામાન લેવા ગઈ હતી. તે સમયે ઈશ્વરસિંહ ભાણજી દરબાર અને જનકસિંહ હેદુસિંહ નામના બે શખસો સગીરાને ઉપાડી જઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને લી થરાદ પોલીસ મથકે સગીરા સાથે કુકર્મ આચરનારા બન્ને શખસો વિરુધ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસ દિયોદરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર રજુઆતો અને આધાર પુરાવાને ધ્યાને લઈ ન્યાયાધીશ જે.એન. ઠક્કરે આરોપી ઈશ્વરસિંહ અને જનકસિંહને બળાત્કાર અને પોક્સોના ગુનામાં દશ દશ વર્ષ કેદ અને ૭૫૦૦ના દંડની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.