બનાસકાંઠાના 25 ખાનગી તબીબોએ સરકારની બાળસખા યોજનામાં રાજીનામાં ધર્યા
- આરોગ્ય વિભાગ દ્વારા રાજીનામા આપનાર તબીબોને નોટીસો ફટકારાઈ
- જિલ્લાના ૨૮ બાળકોના ર્ડાક્ટરોએ તા.૩૧ માર્ચ ૨૦૨૦ સુધી સેવા આપવાના સરકાર સાથે કરાર કર્યા હતા
પાલનપુર,
ડીસા,તા. 31
જાન્યુઆરી 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં સરકારની બાળ સખા યોજના સાથે જોડાયેલા
૨૫ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબો તેમને નાણાનુ ચુકવણું કરવામાં ન આવતું હોવાના
આક્ષેપ સાથે સામુહિક રાજીનામા ધરી દેતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જોકે નવજાત બાળકોની ખાનગી હોસ્પિટલ સારવાર ૨૫ બાળકોમાં તબીબોના સામુહિક રાજીનામાથી
જિલ્લામાં નવજાત બાળકોની સારવાર કથળી પડવાની દહેશત વર્તાઈ રહી છે. બાળસખા યોજનામાં
જોડાયેલા જિલ્લાના ૨૮ બાળક નિષ્ણાત તબીબોએ સરકાર સાથે આગામી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી
સેવા આપવાના કરાર કરેલ છે. તેમછતાં ૨૫ તબીબોએ આરોગ્ય વિભાગને કોઈ જ પ્રકારની જાણ
કર્યા વિના રાજીનામા ધરી દેતા આરોગ્ય વિભાગ દ્વારા આ તબીબોને કારણદર્શક નોટીસ
ફટકારવામાં આવી છે.
બાળ મરણનો ગ્રાફ ઘટાડવા માટે સરકાર દ્વારા બાળસખા યોજના
અમલી બનાવી છે. જેમાં ઓછા વજનવાળા નવજાત બાળકોને ખાનગી હોસ્પિટલમાં ૨૮ દિવસ સુધી
જરૃરી સારવાર મળી રહે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બાળરોગના તબીબે એક
બાળકની સારવાર પાછળ રૃ.૪૯ હજાર આપવામાં આવે છે. આ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના
વિવિધ શહેરના ૨૮ બાળરોગના ખાનગી તબીબોએ સરકારની બાળસખા યોજનામાં સેવા આપવા માટે
સરકાર સાથે કરાર કર્યા હતા. પરંતુ સરકાર દ્વારા આ ખાનગી ર્ડાક્ટરોને છેલ્લા નવ
માસથી તેમને નાણાનુ વળતર ચુકવવામાં ન આવતા ૨૮ તબીબોમાંથી ૨૫ તબીબોએ સરકારની યોજનામાંથી
સામુહિક રાજીનામા આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે સરકારની બાળસખા યોજના ગરીબ
અન ેજરૃરિયાતમંદ પરિવારોના નવજાતો માટે આશીર્વાદ સમાન હતી. પરંતુ બનાસકાંઠામાં આ
યોજનામાં જોડાયેલા ૨૫ ર્ડાક્ટરોએ સેવા આપવાનો ઈન્કાર કરી દેતા જિલ્લામાં બાળકોની
સારવાર અટવાઈ ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર, ડીસા અને થરાદમાં
બાળકોની સારવાર માટે બાળ તબીબો અને આઈસીયુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા હોવાનું
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
એક બાળકની સારવાર પાછળ રૃ.૪૯ હજારના ખર્ચની જોગવાઈ
રાજ્યમાં બાળ મૃત્યુ દર ઘટે તે માટે સરકારે બાળ સખા યોજના
અમલી બનાવી છે. જેમાં દોઢ કિલોથી ઓછું વજન ધરાવતા નવજાતને ખાનગી હોસ્પિટલમાં ૨૮
દિવસ સુધી તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. અને એક બાળકની સારવાર
પેટે ર્ડાક્ટરને ૪૯૦૦૦ હજારનું બિલ ચુકવાય છે. જેને લઈ આ યોજના થકી ગરીબ પરિવારોના
નવજાત બાળકો સારવારના કારણે નવજીવન મળે છે.
નવ માસથી ચુકવણું કરાયું નથી ઃ તબીબો
બનાસકાંઠામાં બાળસખા યોજનામાં જોડાયેલ ૨૮ બાળ તબીબોને
છેલ્લા નવ માસથી બાળસખા યોજના અંતર્ગત અનેક બાળકોને સારવાર આપી હોવાછતાં તેમને
સારવારના ખર્ચનું ચુકવણું કરાયું ન હોઈ આ યોજનામાં જોડાયેલા ૨૫ ર્ડાક્ટરે સામુહિક
રાજીનામા આપ્યા છે.
રાજીનામાં આપનાર તબીબોને નોટિસો અપાઈ
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ
જણાવ્યું કે સરકારની બાળસખા યોજનામાં જોડાયેલા ૨૫ તબીબોએ આરોગ્ય વિભાગને જાણ કર્યા
વિના જ રાજીનામા આપતા તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ ર્ડાક્ટરોએ સરકાર
સાથે આગામી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી સેવા આપવાના કરાર કર્યા છે. તેમછતાં અધવચ્ચે સેવા
આપવાનું બંધ કરશે અને તેના કારણે કોઈ અનહોની થશે તો બાળસખામાં જોડાયેલા ર્ડાક્ટરો
સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર અને તબીબો વચ્ચે નાણાકીય લડાઈમાં ગરીબ બાળકો સારવાર અટવાઈ
બાળસખા યોજનામાં સરકાર અને ર્ડાક્ટરો વચ્ચેની નાણાકીય
લડાઈમાં ગરીબ નવજાત બાળકોની ખાનગી સારવાર અટવાઈ પડી શકે છે. ત્યારે બાળકોની
સારવારને લઈ આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર,
ડીસા અને તરાદની હોસ્પિટલમાં બાળરોગ તબીબોની સેવા અને આઈસીયુ વોર્ડ કાર્યરત
કરવામાં આવ્યા છે.