પાલનપુરમાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોધાયા
- શહેરમાં કોરોના સંક્રમિતનો આંક 16 પહોંચ્યો
- બનાસકાંઠામાં કોરોના સંક્રમિતોનો આંક 168 થયો
પાલનપુર તા.21 જૂન 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. જેને લઇ પાલનપુર અને ડીસામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટીવ કેસોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જે વચ્ચે પાલનપુરમાં વધુ ત્રણ કેસ સામે આવતા શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક ૧૬ અને જિલ્લામાં કોરોના સંક્રમિતનો કુલ આંક ૧૬૮ એ પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં રોજ બરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. જોકે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોરોનાનું સંક્રમણ બમણીગતિએ ફેલાઇ હોય જિલ્લામાં પોઝિટીવ કેસોમાં ચિંતાજનક વધાોર નોંધાઇ રહ્યો છે. જેમાં અનલોક એકમાં મળેલી છુટછાટમાં કોરોના વાયરસે જાણે શહેરી વિસ્તારોને નિશાને લીધું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી પાલનપુર અને ડીસામાં પોઝિટીવ કેસોમાં સતત વૃધ્ધિ થઇ રહી છે. જે વચ્ચે રવિવારે વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને અગ્રણી વેપારી તુલશીભાઈ લુહાણા તેમજ અને બે વ્યક્તિનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવતા આ ત્રણેય સંક્રમિતોને શહેરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે અનલોકમાં પંદર દિવસના ટુંકા ગાળામાં પાલનપુરમાં કોરોના પોઝિટીવના ૧૬ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૧૬૮ની ટોચે પહોંચી જતા લોકોમાં ફફડાટ મચી જવા પામી છે.
કોરોના સંક્રમિતો
ભાઇચંદભાઈ નાગરભાઈ રામસેના ઉ.વ.૭૦ રહે.રામનગર સોસાયટી પાલનપુર
અબ્બાસભાઇ યુસુફભાઈ છુઆરા ઉ.વ.૬૫ રહે.તીનબત્તી પાલનપુર
તુલસીભાઇ હેમરાજભાઈ લુહાણા ઉ.વ.૫૮ રહે.બેંક સોસાયટી પાલનપુર