વડગામના નગાણામાં શંકા બાદ દફનાવાયેલ મહિલાની લાશ બહાર કાઢી
- પંદર દિવસ અગાઉ મૃત્યુ થયું હતું
- એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ માટે મોકલાયો
પાલનપુર, છાપી, તા.
07 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
વડગામ તાલુકાના નગાણા ગામે પંદર દિવસ અગાઉ મરણ પામેલ
એક મહિલાના મોતને લઈ શંકા પ્રવર્તતા દફન કરાયેલ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો
અને લાશને પીએમઅર્થે મોકલવામાં આવી છે. જોકે પોલીસની ઉપસ્થિતિમાં લાશને બહાર
કાઢવામાં આવી રહી હતી તે ઘટનાનું કવરેજ
કરવા ગયેલા મિડીયા કર્મીઓને પોલીસે અટકાવી તેમના મોબાઈલ છીનવી લેતા નારાજગી ફેલાઈ
હતી.
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વડગામ તાલુકાના નગાણા
ગામના જયંતિભાઈ દલાભાઈ મકવાણા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થતા તેઓ વતન નગાણા રહેવા
લાગ્યા હતા. દરમિયાન એક પખવાડિયા અગાઉ
વહેલી સવારે તેમની પત્ની શાન્તાબેન મકવાણા પથારીમાંથી ન ઉઠતાં તપાસ કરવામાં
આવી હતી. જેમાં તેઓ મરણ પામ્યા હોવાનું માલુમ પડતા તેમનું મોત કુદરતી થયું હોય તેમ
માનીને મૃતદેહની સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. જે બાદ મૃતકના પતિને તેમની
પત્નીના આકસ્મિક મોત અંગે શંકા જતા તેમણે મોતની વાસ્તવિકતા જાણવા માટે છાપી પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસની ઉપસ્થિતિમાં પંદર દિવસ અગાઉ દફન કરાયેલ મહિલાના મૃતદેહને
બહાર કાઢવામાં આવ્યો હતો. જેને લી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે દફન
મૃતદેહને પંદર દિવસ બાદ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ આર. સી. ઠાકોરની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને
પોસ્ટમોટર્મ માટે અમદાવાદ મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે છાપીના
પીએસઆઈ એલ.સી. રાણા, વડગામ બ્લોક હેલ્થ ઓફિસર પ્રકાશ ચૌધરી, મેડિકલ
ઓફિસર દિપક જન્સારી, ડો. બીલાલ મેમણ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.