પાલનપુર, પાટણ, સિદ્ધપુર અને વડનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આખરે મોકૂફ
- કોરોનાનું ગ્રહણ નડતા ઉત્તર ગુજરાતમાં વર્ષોની પરંપરા તૂટી
- મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે અને ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનનો લાભ લઈ શકશે
મહેસાણા, પાલનપુર,તા.21 જૂન 2020, રવિવાર
કોરોના વાઈરસના કારણે ચાલુ વર્ષે અનેક પરંપરા તૂટી છે. જેમાં ખાસ અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ બંધ રાખવા હાઈકોર્ટે રોક લગાવતા ઉત્તર ગુજરાતમાં પણ વિવિધ સ્થળે નીકળનારી ભગવાનની રથયાત્રાઓને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા પાલનપુર, પાટણ, સિદ્ધપુર અને વડનગર સહિતના ગામ શહેરો અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નહિ નીકળે અને માત્ર દર્શન કરી શકાશે.
અષાઢી બીજની દેશભરમાં ધામધૂમ પૂર્વક ભવ્ય ઉજવણી કરાય છે. બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણમાં પણ વધતા જતા કોરોનાના કેસોને લઈ તંત્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર રોક લગાવવામાં આવી છે. પાટણમાં ભગવાન જગન્નાથજીની ૧૩૮ અને સિદ્ધપુરમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની ચાંદીના રથમાં નીકળતી ૭૭મી તેમજ પાલનપુરમાં ૪૬મી રથયાત્રા નીકાળવા માટે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ હિન્દુ સંગઠનોએ તંત્ર પાસે મંજૂરીઓ માંગવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટની રોક અને વધતા જતા કોરોનાના કેસોને લઈ પાલનપુર, પાટણ, સિદ્ધપુર વડનગર સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા અષાઢી બીજના પાવન પર્વે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વાર ભગવાનની પરંપરાગત વર્ષોથી નિકળતી નગરયાત્રા બંધ રહી છે. જોકે મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે અને ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનનો લાભ લઈ શકશે. પાટણમાં રથયાત્રાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. અંતે પાંચ કલાકનો જનતા કરફ્યું લગાવી રથયાત્રા કાઢવા મંજૂરી માંગવામાં આવી હતી તો સિદ્ધપુરમાં રૃટ ટુંકાવી ૫૦ ભૂદેવો દ્વારા યાત્રા નિકાળવાની તૈયારી કરી હતી. પણ હાલની પરિસ્થિતિ જોતા મંજૂરી આપી શકાય તેમ ના હોવાનું પાટણ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં વિસનગર, ગોઝારિયા, કડી અને વડનગર શહેરમાં પરંપરાગત રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ નડતા અગાઉ વિસનગર અને ગોઝારિયા ખાતેની રથયાત્રા મોકૂફ રાખવાનો સ્થાનિક આયોજકોએ નિર્ણય કર્યો હતો. બીજી તરફ કડી અને વડનગરમાં રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ વડનગર મામલતદારે કોરોના સંક્રમણ વધવાનો ભય દર્શાવી મંજૂરી ન આપતા અહીં રથયાત્રા બંધ રહી છે. જ્યારે કડીમાં હજુ અસમંજસ જોવા મળે છે.
કોરોનાએ વર્ષો જૂની પરંપરા તોડી
અષાઢી બીજમાં પાવન પર્વે પાટણમાં છેલ્લા ૧૩૮ વર્ષથી સિદ્ધપુરમાં ૭૭ વર્ષથી અંશ પાલનપુરમાં ૪૬ વર્ષથી ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવતી હતી. અને ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપતા હતા. પરંતુ કોરોનાને લઈ ચાલુ વર્ષે ભગવાનની નગરચર્યાની વર્ષો જૂની પરંપરા પર બ્રેક લાગી છે.
મંદિરમાં ભગવાનની પૂજા-અર્ચના કરાશે
અષાઢી બીજના પાવન પર્વે સિદ્ધપુરમાં ૨૨૫ વર્ષ જુના લાકડાના રથમાં મંદિરમાં ભગવાન ફરશે. પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથની તો પાટણમાં પણ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. અને ભક્તો સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને ભગવાનના દર્શન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
વડનગરમાં ૧૦૬ વર્ષથી નીકળતી રથયાત્રા પ્રથમ વખત નહી નીકળે
વડનગરમાં આવેલા શ્રી ગોપાલજી મંદિર ચાચરેથી ૧૦૬ વર્ષથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવે છે. આ વર્ષે ૧૦૭મી રથયાત્રા કાઢવા આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી અને તંત્ર પાસે તે અંગેની મંજૂરી માંગી હતી. પરંતુ, સ્થાનિક મામલતદાર દ્વારા કોરોના મહામારી અંતર્ગત ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે તો સંક્રમણનો ભય તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય નહી તેવો મુદ્દે મંજૂરી ન આપતાં રથયાત્રા બંધ રહેનાર છે.
પાટણ અને સિદ્ધપુરના રથયાત્રા આયોજકોનું શું કહેવું છે
કોરોના મહામારી વચ્ચે પાટણમાં નીકળનાર રથયાત્રા અંગે પાટણ ભગવાન જગન્નાથ મંદિરના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તૈયારીઓ કરી હતી પરંતુ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા સાવચેતીના ભાગરૃપે મંજૂરી ન મળતા આ વર્ષે રથયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે સિદ્ધપુર ગોવિંદ માધવ મંદિરના ટ્રસ્ટી કમલેશ ઠાકરે જણાવ્યું હતું કે, રથયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ કોરોનાને કારણે રથયાત્રા બંધ રાખવામાં આવી છે.
થરાદમાં ભગવાન જગન્નાથજીનું મામેરૃ ભરાયું
થરાદ ખાતે ૨૯ વર્ષથી નીકળતી રથયાત્રા મોકૂફ રહી છે. પરંતુ રવિવારે રાજપૂત સમાજ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું મામૈરૃ ભરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનીક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ભગવાનને મોસાળથી પરત પોતાના ઘરે નવા રામજી મંદિર લવાયા હતા અને ભગવાનની આરતી કરવામાં આવી હતી.