કોરોનાના સંકટને ટાળવા મહંતે 60 દિવસનું ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું
- વિશ્વ કલ્યાણ અર્થે ગાદલવાડાના મુનિની તપસ્યા
પાલનપુર, તા. 10 મે 2020, રવિવાર
વિશ્વને ભરડામાં લેનાર કોરોના મહામારીના સંકટને ટાળવા માટે ભારતમાં સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો લોકો દ્વારા કોરોનાને નાબુદ કરવા પ્રાર્થના, દુવાઓ કરવામાં આવી રહી છે ત્યારે પાલનપુર નજીક આવેલ ગાદલવાડા ગામે એક મહંત દ્વારા સમગ્ર વિશ્વને કોરોનાના કહેરથી બચાવવા માટે સળંગ 60 દિવસ સુધી મૌન અને ખડેશ્વરી વ્રતની તપસ્યા શરૂ કરવામાં આવી છે.
સમગ્ર દેશ કોરોના વાઈરસની પીડાથી પીડાઈ રહ્યો છે તેમજ ગુજરાતમાં કોરોના વકરી રહ્યો હોય પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કુદરત લોકોને કોરોનાના સંકટથી ઉગારે તે માટે પાલનપુર તાલુકાના ગાદલવાડાના મહંત ભેરવગીરી મહારાજે દેશને કોરોનાથી બચાવવા અને કુદરતને રીઝવવા માટે ૬૦ દિવસનું મૌન વ્રત તેમજ ખડેશ્વરી વ્રત ધારણ કરવામાં આવ્યું છે. જોકે જગત પર જ્યારે જ્યારે આપદાઓ આવી છે ત્યારે લોકો કુદરતની શરણે થયા છે ત્યારે કોરોના કાળને ટાળવા માટે એક મહંત દ્વારા તપસ્યા શરૃ કરવામાં આવતા લોકો આ તપસ્વીના દર્શને ઉમટી રહ્યા છે.