Get The App

બનાવટી દસ્તાવેજોથી રાણપુરના બે ખેડૂતોની જમીન પચાવી પડાઈ

- જમીન કૌભાંડ મામલે ગઢના તત્કાલીન તલાટી, સર્કલ, સબ રજીસ્ટાર સહિત સાત સામે પોલીસ ફરિયાદ

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
બનાવટી દસ્તાવેજોથી રાણપુરના બે ખેડૂતોની જમીન પચાવી પડાઈ 1 - image

પાલનપુર,તા.02 જુલાઈ 2020, ગુરૂવાર

વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમમાં સંપાદન થયેલ સતલાસણા તાલુકાના રાણપુર ગામના ખેડૂતોને પાલનપુર તાલુકાના ગઢ ગામે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જોકે મુક્તેશ્વર જળાશયના અસરગ્રસ્તોને ગઢમાં ફાળવેલી જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી વેચી મારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઢના ચાર ખેડૂતે તત્કાલીન તલાટી, સર્કલ ઓફીસર, વેચામ દસ્તાવેજ કરનાર સબ રજીસ્ટાર સાથે મળીને જમીનનું બારોબારીયું કર્યું હોવાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

વડગામ તાલુકાના છેવાડે આવેલ મુક્તેશ્વર ડેમના નિર્માણ વખતે ડેમકાંઠે આવેલ સતલાસણા તાલુકાના રાણપુર ગામના ભીખાભાઈ વીરચંદભાઈ સુથાર અને ઠાકોર ભીખાજી તલાજી તેમજ વલાજી પી.ઠાકોરની જમીન ડૂબમાં જતા આ અસરગ્રસ્ત ખેડૂતોને નાયબ કલેક્ટર જમીન સંપાદન અને પુન વસવાટ સિપુ યોજના દ્વારા વર્ષ ૨૦૦૪માં પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ બ્લોક નં.૧૩૦૪માં જમીન સંપાદન કરવામાં આવી હતી. જેને લઈ અસરગ્રસ્ત ખેડૂતોની ડૂબમાં ગયેલ જમીનના ઉતારા નીકાળવાનું બંધ થઈ જતા અને તેમને ફાળવેલ જમીન અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતા આખરે પોતાને સંપાદન થયેલ જમીન અંગે અજાણ અસરગ્રસ્ત ખેડૂતે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગતા તેમને ગઢ ખાતે ફાળવેલ જમીન ગઢના જોઈતાભાઈ ભીખાભાઈ કાપડી, કાળુભાઈ ભીખાભાઈ કાપડી, મગનભાઈ વાલાભાઈ બુટકા, મોતીભાઈ ગોદડભાઈ ગામીના નામે વર્ષ ૨૦૦૪માં દસ્તાવેજથી વેચાણ થઈ ગયું હોવાનું માલૂમ પડતા અસરગ્રસ્ત ખેડૂત હેબતાઈ ગયો હતો અને તેમના નામે ખોટી સહીઓ કરીને બનાવટી દસ્તાવેજથી પોતાની જમીન બારોબાર વેચી મરાઈ હોવાનું માલૂમ પડતા અસરગ્રસ્ત રાણપુરના ખેડૂત જોઈતાભાઈ સુથારે ગઢના તત્કાલીન તલાટી, સર્કલ ઓફીસર, વેચાણ દસ્તાવેજ કરનાર સબ રજીસ્ટાર અને ગઢના ચાર ખેડૂતો વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાલનપુરના વહિવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે.

જમીન પચાવી પાડવા બનાવટી સહીઓ કરાઈ હોવાના આક્ષેપ

રાણપુરના અસરગ્રસ્ત ખેડૂત જોઈતાભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદમાં ગઢ ખાતે તેમને ફાળવાયેલ જમીન ચાર વ્યક્તિઓના નામે વેચાણ કરવાનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે. જેમાં અસરગ્રસ્તોને ખોટી સહીઓ અને બનાવટી દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાનું એફઆઈઆરમાં આક્ષેપ કરાયો છે.

જમીન પચાવી પાડવામાં તલાટી, સર્કલ અને સબ રજીસ્ટારની સંડોવણી

ગઢ ખાતે ડૂબ અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ જમીન બારોબાર વેચી મારવાના મામલામાં ગઢના તત્કાલીન તલાટી, સર્કલ ઓફીસર, સબ રજીસ્ટાર અને ગઢના જોઈતાભાઈ ભીખાભાઈ કાપડી, કાળુભાઈ ભીખાભાઈ કાપડી, મગનભાઈ વાલાભાઈ ભુટકા, મોતીભાઈ ગોદડભાઈ ગામીની સંડોવણી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

Tags :