પાલનપુર,તા. 5 માર્ચ ૨૦૨૦,ગુરૃવાર
બનાસકાંઠાના કાણોદર ખાતે ઈરાન ફરીને પરત આવેલા ૪૦ લોકો પૈકી
એક વ્યક્તિને ગળાના ભાગે તકલીફ જણાતા તાત્કાલિક વહિવટીતંત્રએ સિવિલ હોસ્પિટલના
આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અમદાવાદ ખાતે
ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેને લઈ પાલનપુર શહેર સહિત જિલ્લા વહિવટી
તંત્ર હરકતમાં આવીગયું હતું. અને સાવચેતીના પગલાં ભરતા કાણોદર ખાતે ઈરાનથી આવેલ ૪૦
લોકોને તેઓના ઘરે નજરબંધ કરી તેઓનુ સતત ચેકીંગ હાથ ધર્યું હતું.
પાલનપુરના કાણોદર ખાતેથી ૪૦ જેટલા લોકો ઈરાન ખાતે જીયારતમાં
ભાગ લેવા ગયા હતા. ત્યાંથી સાત દિવસ અગાઉ કાણોદર પરત ફર્યા હતા. જે પૈકી ત્રણેક
દિવસ અગાઉ મુસાયબઅલી શેરસીયાને ગળાના ભાગે તકલીફ જોવા મળી હતી. જેને લઈ દર્દીએ
આરોગ્યતંત્રનો સંપર્ક કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સી તેમજ બનાસકાંઠા
કલેક્ટર હરકતમાં આવી ગયા હતા. અને મુશાયબ અલીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ
ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો અને ત્યારબાદ આ વાયરસની તપાસ હાથ ધરી હતી.
અને તેના સેમ્પલો લઈ ત્યાંથી અમદાવાદ ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.
૪૦ લોકોને નજરબંધ કરી તપાસ હાથ ધરાઈ, જિલ્લા આરોગ્ય
અધિકારી
આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ
જણાવ્યું કે અમોને જાણ થતાં તાત્કાલિક મુસાયબ અલીને આઈસોલેશન વોર્ડમાં દાખલ
કરવામાં આવ્યો છે. તાવ, શરદી, ખાંસી નથી પરંતુ
ગળાના ભાગે દુખાવાની ફરિયાદ જોવા મળી છે. જેથી જરૃરી સેમ્પલો અમદાવાદ બી.જે.મેડીકલ
હોસ્પિટલ ખાતે મોકલાયા છે અને પરત ફરેલ ૪૦ લોકને તેઓના ઘરમાં જ નજર કેદ કરી અને
તેઓનું શરદી, ખાંસી, તાવની તપાસ હાથ
ધરાઈ છે.
પરિવારની પણ તપાસ ચાલુ છે, ર્ડાક્ટર
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું
હતું કે હાલ કોરોનો વાચરસ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે. જેથી તેમના પરિવારને પણ પોતાના
ઘરમાં અલગથી રહેવાની સૂચના આપવામાં આવી છે. અને દર્દીના સેમ્પલો અમદાવાદ ખાતે તપાસ
અર્થે મોકલાયા છે.
ધો.૧૦-૧૨ની પરીક્ષા અને મહિલા સંમેલનમાં તકેદારી રાખવા માંગ
કોરોના વાયરસને પગલે ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં તેમજ
૮મી તારીખે યોજાનાર મહિલા સંમેલનમાં તંત્ર દ્વારા કોરોના વાયરસની સાવચેતી રાખવા
માંગ ઉઠી છે.
પાલનપુરમાં શંકાસ્પદ કોરોનાને લઈ બેઠક
બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ કોરના કેસ દેખાતા કલેક્ટરે
આરોગ્ય વિભાગ અને સિવિલ સર્જન સાથે બેઠક કરી હતી. અને કોરોનાની તમામ વિગતો લોકો
સુધી પહોંચાડવાની સુચનાઓ આપી હતી.


