Get The App

ખેડબ્રહ્મા-દાંતા-અંબાજી ચાર માર્ગીયનું કામ ધીમીગતિએ

- માર્ગ બંધ હોવાથી યાત્રિકોનો પ્રવાહ ઘટયો

- ત્રિશુળીયા ઘાટ પર માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે,ઝડપથી કામ પૂર્ણ કરવા યાત્રિકોની માંગ

Updated: Jan 23rd, 2020

GS TEAM

Google News
Google News
ખેડબ્રહ્મા-દાંતા-અંબાજી ચાર માર્ગીયનું કામ ધીમીગતિએ 1 - image

અંબાજી,તા.22 જાન્યુઆરી 2020,બુધવાર

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા વિવિધ માર્ગોને સતત વધી રહેલા યાત્રિકોના પ્રવાહના ધસારાને પહોંચી વળવા આ માર્ગોને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલતી હોઈ હાલ પુરતા આ માર્ગો બંધ કરવાના કારણે બે મહિનાથી યાત્રિકોની સંખ્યામાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. જેની માઠી અસર ધંધા-રોજગાર પર જોવા મળી રહી છે.

હાલમાં ખેડબ્રહ્માથી અંબાજી અને દાંતાથી અંબાજી આવવાના માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ત્રિશુળીયાઘાટને પહોળો કરવાની કામગીરી હાલમાં ચાલતી હોઈ દાંતાથી અંબાજી આવવા માટે વાયા હડાદ તરફનું ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જેના કારણે ૩૦ કિમીનું અંતર વધી જાય છે. વળી ભૂતકાળમાં આ માર્ગ પર લૂંટફાટના અનેક બનાવો પણ દાંતા પોલીસ દફતરે નોંધાયેલ છે. તેથી આ દાંતા-હડાદ માર્ગ યાત્રિકોને લાંબો પડે છે. અને સલામતીની દ્રષ્ટીએ પણ જોખમકારક હોઈ યાત્રિકો હાલમાં અંબાજી આવવાનું ટાળી રહ્યા છે. જેના કારણે મંદિરના દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર અહીંના ધંધા-રોજગાર પર જોવા મળી રહી છે. જેથી સરકારે માર્ગની કામગીરી સંભાળતી એજન્સીને જેમ બને તેમ કામગીરી ઝડપથી પૂર્ણ કરી આ માર્ગને ઝડપથી પૂર્ણ કરી ચાલુ કરવા તાકિદ કરવી જરૃરી બની છે. ત્રિશુળીયાઘાટ પર માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલતી હોઈ એજન્સી દ્વારા વધુ મશીનરીઓનો ઉપયોગ કરી ઝડપથી આ માર્ગ ચાલુ કરાવવો જોઈએ તેવી પ્રજાની માંગ છે. અથવા વૈકલ્પિક માર્ગ પણ બનાવવો જોઈએ જેથી યાત્રિકોને અગવડો ન પડે. વાયા હડાદ જવાનો માર્ગ અસલામતી હોઈ પરિવારો સાથે આવતા યાત્રિકોને ડર સતાવી રહ્યો હોઈ તેઓ રાત્રિના સમયે આ માર્ગ પરથી જવાનુ જ ટાળે છે. જેની સીધી અસર અંબાજીમાં પડી રહી છે. દાંતા-અંબાજી માર્ગ બંધ હોઈ યાત્રિકોને આ બંધ માર્ગને જાણે કે બાનમાં લઈ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જેથી સત્વરે આ માર્ગ પૂર્ણ કરી ચાલુ કરાવવો જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠવા પામેલ છે.

વિદ્યાર્થીઓ અને નોકરીયાતોની મુશ્કેલીઓ વધી

આ માર્ગ પર નિયમિત નોકરીએ જતા કર્મીઓ તથા વધુ અભ્યાસ અર્થે પાલનપુર સહિત સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા જતા વિદ્યાર્થીઓની પણ મુશ્કેલીઓ વધી જવા પામી છે. તેમાંય સમયસર બસો ન હોવાથી સૌ રઝળી પડે છે.

દાંતા-હડાદ માર્ગ પર પોલીસ પેટ્રોલીંગ વધારવું જરૃરી

હાલમાં ત્રિશુળીયા ઘાટને પહોળો કરવાની કામગીરી ચાલતી હોવાના કારણે આ માર્ગ બંધ હોઈ હડાદ તરફ ડાયવર્ઝન કરેલ હોઈ વળી આ માર્ગ જોખમી અને અસલામત હોઈ યાત્રિકો આ માર્ગેથી અંબાજી આવતા ડરી રહ્યા છે. જેથી સતત પોલીસ પેટ્રોલીંગ હોવું અત્યંત જરૃરી બન્યું છે.

Tags :