પાલનપુરના સોનબાગમાં વિસ્તારમાં પાલિકાએ આખરે દબાણો દૂર કર્યા
- સ્થાનિકોએ મુખ્યમંત્રી સમક્ષ ઓનલાઈન ફરિયાદ કરી હતી
- રસ્તા પૈકીના દબાણો તોડી પડાતા રોડ ઉપર ટ્રાફીક સમસ્યા હળવી થશે
પાલનપુર,તા.28 નવેમ્બર 2019, ગુરૂવાર
પાલનપુરના સોનબાગ વિસ્તારની સોસાયટીમાં રહીશો દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાકા દબાણો કરવામાં આવતા જાહેર રસ્તો સાંકડો થઈ જવાને લઈ લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ પડતી હોઈ જાહેર માર્ગના આ દબાણ મામલે સ્થાનિક દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ આખરે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સોસાયટીના ૨૫૦ ફૂટ લાંબા માર્ગ પરના નડતરરૃપ પાકા દબાણોને જેસીબી દ્વારા તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
પાલનપુર શહેરના સોનબાગ વિસ્તારમાં આવેલ ગીતા સોસાયટીના જાહેર માર્ગ ઉપર કેટલાક રહીશો દ્વારા પાકા બાંધકામ કરવામાં આવતા જાહેર રસ્તો સાવ સાંકડો બની ગયો હોય લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોય આ દબાણોને દૂર કરવા માટે સ્થાનિક નિલેશ બાબુલાલ પરમાર નામના અરજદાર દ્વારા વર્ષ ૨૦૧૬માં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ દબાણોને દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા દબાણની આ પેન્ડીંગ અરજીનો ઉકેલ લાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતા આખરે નગરપાલિકા દ્વારા ગુરુવારના રોજ પોલીસ, રેવન્યુ અને સીટી સર્વેની ટીમને સાથે રાખી દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સોસાયટીના ૨૫૦ ફૂટ જેટલા લાંબા રસ્તા ઉપર કરાયેલ પાકા જાજરૃ, બાથરૃમ, રસોડા, દિવાલ, તોતિંગ વૃક્ષ અને ઓટલાઓને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હતા. અને રસ્તાને ૩૦ ફૂટ પહોળો કરવામાં આવતા દબાણની પેચીદી સમસ્યાનો આખરે અંત આવ્યો હતો.