રાધનપુર-સાંતલપુર પંથકમાં જળપ્લાવિત વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
- રણમાં બનાવેલા આડ બંધો અને તળાવોમાં ફ્લેમિંગો સહિત વિવિધ યાયાવર પક્ષીઓના ધામા
રાધનપુર,તા.1 જાન્યુઆરી 2020, બુધવાર
પાટણ જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલ સાંતલપુર-રાધનપુર
વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન થયેલ છે. સાંપ્રત વર્ષે ચોમાસામાં વરસાદ વધુ
પડવાને કારણે આડબંધો, ચેકડેમો અને તળાવોમાં પાણી ભરાયેલા હોવાને કારણે
યાયાવર પક્ષીઓ આજે આ પંથકમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
આ વરસે હાડથીજવતી ઠંડી પડવાને કારણે નગરજનો ભલે ગરમ
કપડા ખરીદી કરતા હોય પરંતુ ઠુંઠવાતી ઠંડીમાં પક્ષીવિદો માટે વિદેશી પક્ષીઓના
આગમનનું નજરાણું બની જતું હોય છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકામાં
ચોમાસા દરમિયાન વરસાદ વધારે પડવાને કારણે આજે તળાવો અને ચેકડેમો છલોછલ ભરેલા જોવા
મળી રહ્યા છે. રણને અડીને આવેલ આ વિસ્તારમાં આજે સાયબીરીયન અને ઓસ્ટ્રેલીયન સહિતના
વિદેશી પક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થયેલ છે. આ પંથકમાં આજે ફ્લેમિંગો, પેલીકન, ગ્રેહેરોન, પેઈનટેડ
સ્ટોક, ફ્રુટ,
સ્ટીલ્થ, એન્ડ પાઈપર, ગુંજ, ડક, કોરોયોરન્ટ
જેવા યાયાવર પક્ષીઓ જોવા મળી રહ્યા છે. પક્ષીવિદોનુ માનવું છે કે સાબીરીયા, મંગોલીયા, યુરોપ, રશિયા
જેવા દેશોમાં શિયાળો આવે એટલે બરફ પડવાને કારણે પક્ષીઓના ખાવાનો ખોરાક બરફમાં
ઢંકાઈ જતો હોય છે. જેના કારણે આ પક્ષીઓ જ્યાં ઠંડી ઓછી પડતી હોય તેવા વિસ્તારોમાં
સ્થળાંતર કરી પોતાનું રહેઠાણ બનાવતા હોય છે. જેના કારણે ગુજરાતના કેટલાક
વિસ્તારોમાં માફકસર વાતાવરણ હોવાથી નવેમ્બર માસથી જ મોટા ગુ્રપ સાથે વિદેશી
પક્ષીઓને આગમન થાય છે. જ્યારે આ વખતે વરસાદ વધારે પડતા પાટણ જિલ્લાના
રાધનપુર-સાંતલપુર વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ તળાવો અને આડબંધોમાં
જોવા મળી રહ્યા છે. રાધનપુર-સાંતલપુરના વિવિધ જળપ્લાવીત વિસ્તારોમાં આવેલા
પક્ષીઓની ગણતરી કરવા રાધનપુર વનવિભાગ સ્ટાફ તેમજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી
પાટણના ઝુ લોજીકલ અને બોટનીકલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ૧૮
જળપ્લાવિત વિસ્તારમાં ફ્લેમિંગો પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ
વિદેશી પક્ષીઓની હાજરી જોવા મળી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું.
ફ્લેમિંગો વિશે માહિતી
ફ્લેમિંગો શબ્દ સ્પીનીશ અને લેટિન શબ્દ ફ્લેમકો પરથી
આવે છે. જેનો અર્થ આગ થાય છે. જે પક્ષીઓના પીંછાઓના તેજસ્વી રંગને સંદર્ભિત કરે
છે. ફ્લેમિંગોની એક ટુકડી ઉડ્ડયન કરતી વખતે ટોચની ગતિ કલાક દીઠ ૩૫ માઈલ જેટલી ઊંચી
હોય છે. જ્યારે આ પક્ષી દર વર્ષે ફક્ત એક જ ઈંડા મુકતા હોય છે.
યાયાવર એટલે શું?
વિદેશથી આવેલા પક્ષીઓ આ વિસ્તારમાં પોતાના સમય પસાર
કરતા હોય છે અને ઠંડી બાદ પરત પોતાના દેશ તરફ જતા રહેતા હોય છે. આ તમામ પક્ષીઓ
અહીં માળો બનાવતા નથી અને માત્ર બે કે ત્રણ માસ રોકાણ કરી પરત પોતાના દેશ જતા
રહેતા હોવાને કારણે આ પ્રવાસી પક્ષીઓને યાયાવર તરીકે ઓળખવામાં આવે છે.