Get The App

બગડી ગયેલી દાડમને ગાયોને ખવડાવવા ખેડૂતો મજબૂર થયા

- બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદથી

- ગત વર્ષની સરખામણીમાં દાડમના ભાવ ઓછા મળતા ધરતી પુત્રોમાં નારાજગી પ્રવર્તી રહી છે

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
બગડી ગયેલી દાડમને ગાયોને ખવડાવવા ખેડૂતો મજબૂર થયા 1 - image

પાલનપુર,તા.2

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદને કારણે મહામુલા પાક દાડમને નુકશાન જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે દાડમનું ફળ ફાટી જતા ગાયોને ખવડાવવા માટે ધરતી પુત્રો મજબુર બન્યા છે.સરહદી વાવ,થરાદ,અને સુઈગામ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી ચીલાચાલુ ખેતીને છોડી ખેડૂતો અત્યાધુનિક પદ્ધતિથી અને વૈજ્ઞાાનિક ઢબે ખેતી કરી રહ્યાં છે.

સરહદી થરાદ,વાવ અને સુઈગામ તાલુકામાં મોટા પ્રમાણમાં બાગાયતી ખેતી થાય છે ત્યારે આ વર્ષે દાડમનાં ભાવો વર્ષ ૨૦૧૭થી પ્રતિ કિલોએ ૧૦૦રૃની આસપાસ રહેતાં હતાં.તો વળી ગત વર્ષે પણ સારી ક્વોલિટીમાં પ્રતિ કિલોએ રૃ ૭૦ સુધીનો ભાવ હતો. પરંતુ ચાલુ વર્ષે વધુમાં વધુ પ્રતિ કિલોએ રૃ.૨૦ થી ૩૫નો ભાવ અપાય છે.ત્યારે દાડમના એકદમ ભાવો ગગડતાં ખેડૂતોમાં પણ નિરાશા ફેલાઈ છે.બાગાયતી ખેતીમાં ખર્ચો પુષ્કળ પ્રમાણમાં થાય છે.ભાવો ઘટી જવાથી પૂરતા પ્રમાણમાં વળતર મળતું નથી. જ્યારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને પગલે વાવ સુઇગામમાં ખેડૂતોને નુકશાન થવા પામ્યું હતું જેને લઈ કેટલાક ખેડતોએ તૈયાર થયેલ દાડમ બગડી જતા ન છૂટકે ગાયોને ખવડાવવા માટે મજબૂર બન્યા હતા.ઉલ્લેખનીય છે કે સરહદી વાવ અને સુઈગામ પંથકમાં વર્ષ ૨૦૧૦ પછી બાગાયતી ખેતીને ખેડૂતો વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે.છતાં પણ ખર્ચની સરખામણીમાં પૂરતા ભાવો  નહિ મળતાં ખેડૂત આલમમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

 ત્રણ વર્ષ અગાઉ યુ.પી.ના વેપારીઓ ખરીદી કરતા હતા

સરહદી વાવ અને સુઈગામ પંથકમાંથી ઉત્તરપ્રદેશનાં ગોરખપુરનાં વેપારીઓ દ્વારા વર્ષ ૨૦૧૯માં ૩૫ ટન પ્રતિ કિલોએ ૩૩ રૃનાં ભાવથી ખેડૂતોના ખેતરમાંથી સીધી દાડમની ખરીદી કરી ૧૨ લાખ જેટલી રકમ થઈ હતી.તો આ વર્ષે ઉત્પાદન વઘ્યું છે  પણ માંગમાં ઘટાડો જોવા મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.

બાગાયતી ખેતીમાં પણ નુકશાન થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

સરહદી  વિસ્તારમાં આવેલા થરાદ,વાવ અને સુઈગામનાં ખેડૂતોએ છેલ્લાં એક દસકાથી ચીલાચાલુ ખેતી છોડી અને બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. પરંતુ બાગાયતી ખેતીમાં પણ ખર્ચ કર્યા બાદ પણ પુરતા પ્રમાણમાં ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

વાવના તખતપુરાના ખેડૂતોએ દાડમ ગાયોને ખવરાવી દીધી

સરહદી વાવ તાલુકાનાં તખતપુરા ગામનાં ખેડૂતોએ કમોસમી વરસાદથી નુકશાન થયું હોવાથી દાડમ ફાટી ગઈ હતી.જેને લઈ દાડમનાં પુરતાં પ્રમાણમાં ભાવ નહિ મળતાં ખેડતોએ ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરીને દાડમ ગાયોને ખવડાવી દીધી હતી.