Gujarat

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાને અટકાવવા આરોગ્ય તંત્રની મથામણ

By GS Team
23 Mar 20222 mins read
This article was originally published on 23 Mar 2022
બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાને અટકાવવા આરોગ્ય તંત્રની મથામણ

પાલનપુર, તા.22

બનાસકાંઠા જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને ડામવા માટે જિલ્લા મેલેરીયા તંત્ર દ્વારા તા.૨૧ માર્ચ-૨૦૨૨ થી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગોની ટીમો દ્વારા પ્રથમ દિવસે ૧૨૪૨ લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. ૫૮૬ સ્થળોથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. 

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ડબલ તુને કા૨ણે મચ્છરોની ઘનતામાં વધારો થયો છે. આ સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે જિલ્લા મલેરીયા તંત્ર દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૨ થી ૧૦ દિવસ સુધી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના ૧,૨૫૦ ગામ તથા અર્બન વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાની કુલ ૯૮૦ ટીમો કામગીરી માટે જોડાઈ છે. જેઓ દ્વારા પોરાનાશક કામગીરી, તાવના દર્દીઓના લોહીના નમુના લેવા, મેલેરીયા પોઝીટીવ દર્દીને સંપૂર્ણ સારવાર આપવી તેમજ જન સમુદાયને વપરાશમાં લેવામાં આવતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા તેમજ લોકોને જંતુનાશક દવાયુક્ત મચ્છ૨દાનીનો ઉપયોગ કરવા માટેની સલાહ પણ આપવામાં આવે છે.

પ્રથમ દિવસે ૧૨૪૨ તાવના દર્દીઓના લોહીના નમૂના લેવાયા

બનાસકાંઠા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે ૨,૬૨,૩૨૬ લાખની વસ્તીને આવરી લેવામાં આવી હતી. જેમાં ૪૮,૮૧૩ ઘરોની મુલાકાત લઈને ૧,૬૨,૫૬૩ પાત્રોની ચકાસણી કરતા ૫૮૬ પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા. જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૧૨૪૨ તાવના દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.

જિલ્લામાં ૨૦૨૧માં ૭૪ મલેરિયાના કેસ: એન.કે.ગર્ગ

બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં મલેરીયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જે પૈકી વર્ષ-૨૦૧૭ માં ૨,૭૧૪ મેલેરીયાના કેસો નોંધાયા હતા. વર્ષ- ૨૦૧૮ માં ૧,૪૩૭ કેસો, વર્ષ-૨૦૧૯ માં ૩૪૦ કેસો, વર્ષ-૨૦૨૦ માં ૧૫૭ કેસો અને ૨૦૨૧ માં ફક્ત ૭૪ જેટલાં મેલેરીયાના કેસો નોંધાયા છે.