16 પેટી વિદેશી દારૃ પકડી બારોબાર વેચનાર અમીરગઢના કોન્સ્ટેબલ સામે ફરિયાદ
- રાજસ્થાનથી દારૃ ભરી આવતી કારને રોકી ફરિયાદ કરી ન હતી
- ઈન્સ્પેક્ટરે તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો, કોન્સ્ટેબલ સહિત બે ઈસમો સામે ગુનો દાખલઃ પોલીસને કલંકિત કરતી ઘટના
અમીરગઢ,તા.08 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પોલીસ કોન્સ્ટેબલની પકડાયેલ વિદેશી દારૃ બારોબાર અન્ય શખસોને વેચી મારવાની કરતૂત સામે આવતાં પોલીસ ઈન્સ્પેક્ટરે દારૃ વેચનાર કોન્સ્ટેબલ અને દારૃ ખરીદનાર બે ઈસમો સામે ગુનો નોંધાતા આ પોલીસને કલંકિત કરનાર ઘટનાથી ચકચાર મચી જવા પામેલ છે.
ગત ૨૨મી જાન્યુઆરીમાં રાજસ્થાનમાંથી વિદેશી દારૃ ભરીને જતી કારને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરસિંહ નાગજીભાઈ દેસાઈ દ્વારા પકડવામાં આવેલ હતી. પરંતુ દારૃની ગાડી જોઈ કોન્સ્ટેબલમાં લાલચનો કીડો સરવળતાં પકડાયેલ દારૃ તથા તેને લઈ જનાર ઈસમ સામે ગુનો નોંધાવવાને બદલે માંડવાળ કરી તેને છોડી મુકવામાં આવેલ હતો અને કારમાં લઈ જવાતો વિદેશી દારૃના ૧૬ પેટીઓ પણ પોતાના હસ્તક લીધેલ હતી અને વિદેશી દારૃની ૧૬ પેટીઓ પોતાના સાગરીતોને બારોબાર વેચી મારેલ હતી. આ સમગ્ર ઘટના અમીરગઢ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.જે.દેસાઈના ધ્યાને આવતા આ દિશામાં તપાસ આદરેલ હતી અને પંદર દિવસ બાદ બધી વિગતો સામે આવતાં પોલીસની સત્તાનો દુરઉપયોગ કરનાર કોન્સ્ટેબલ નરસિંહભાઈ નાગજીભાઈ બાર પેટી દારૃ ખરીદનાર અમરસિંહ સરદારસિંહ રાઠોડ અને ચાર પેટીના ખરીદનાર પ્રવિણ નાગરભાઈ ઠાકોર સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. જ્યારે આ દિશામાં અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે નહી તે માટે તપાસનો દોર શરૃ કરાયો છે.
બોર્ડર બંધ થયાની અસર વર્તાઈ
અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન ચેકપોસ્ટ એકાએક બંધ થઈ જતા તોતિંગ કમાણી આપનાર આ બોર્ડર બંધ થવાથી અકળામણ અનુભવી રહેલ પોલીસ કર્મચારીઓ કમાણીનો ઝોન શોધવા માટે આવા કાર્યો પણ કરી રહ્યા છે. જે તંત્ર માટે કલંકિત કહી શકાય.
ઘણીવાર આવા કારસ્તાનો થયાના આક્ષેપો
અમીરગઢમાં કોન્સ્ટેબલ દ્વારા દારૃ પકડી બારોબાર સગેવગે કર્યાનો ભાંડો ફૂટતાં અમીરગઢ બોર્ડર પરથી અસંખ્યવાર વિદેશી દારૃ પકડાયેલ છે અને તેનો નાશ પણ કરવામાં આવેલ છે. ત્યારે આ બંને ઘટનાક્રમોમાં વિદેશી દારૃ સગેવગે કર્યાના આક્ષેપો થયા હતા. પરંતુ તેની તપાસમાં હજીસુધી ભીનુ સંકેલવામાં આવી રહેલ છે.