થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
- પાલિકાના તરવૈયા સુલતાન મીર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તરતી લાશને બહાર કાઢી હતી
થરાદ, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર
થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકની તરતી લાશ મળી આવી હતી. યુવકની ઓળખ થયા બાદ પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
થરાદ વાવ હાઈ-વે પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવકની તરતી લાશ પાણીના વહેણ સાથે આગળ વહી રહી હતી. ત્યાંથી પસાર થતા રાહદારીઓની નજર ઘટના સ્થળે લોકો એકઠાં થઈ ગયા હતા. તેમાંથી કોઈકે નગરપાલિકાના તરવૈયાને જાણ કરી હતી. પાલિકાના તરવૈયા સુલતાન મીર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તરતી લાશને બહાર કાઢી હતી.
લાશને બહાર કાઢી તેની ઓળખ કરવામાં આવી હતી. મૃતક યુવક ટીનાભાઈ ઠાકોર વાવનો રહેવાસી હોવાનું જાણવા મળતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ મૃતકનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે હજું જાણવા નથી મળ્યું પરંતુ મુખ્ય નહેરમાં અનેક લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી દેતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.