દાંતીવાડા ડેમમાં 4.95 ટકા પાણી જ્યારે સિપુ કોરોધાકોર, ઉનાળો કપરો સાબિત થશે
- નબળી નેતાગીરીથી દાંતીવાડા વિસ્તારમાં રોજગારી નથી
- દાંતીવાડા તાલુકામાં બે મોટા ડેમ હોવા છતાં પણ સ્થાનિક ખેડૂતોને નહેર દ્વારા સિંચાઈ માટે કોઈ સવલત નથી
દાંતીવાડા,તા. 5
માર્ચ ૨૦૨૦,ગુરૃવાર
ઉપરવાસમાં વરસાદ નહિવત થતા ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન
દાંતીવાડા અને સિપુડેમ ખાલી રહ્યા હતા. જેમાં દાંતીવાડા ડેમમાં નહિવત પાણી આવતા
ચાલુ સાલે રવિપાક માટે શિયાળામાં નહેર દ્વારા સિંચાઈ માટે ત્રણ પાણી આપવામાં આવ્યા
હતા. પરંતુ ડેમમાંથી પાણી ફક્ત ૪.૯૫ ટકા જ રહેતા ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવા
બંધ રખાયું હતું.
દાંતીવાડા ડેમમાં હાલની સ્થિતિએ પાણીનો જથ્થો નહીવત સંગ્રહ
છે. જેમાં દાંતીવાડા અને સિપુડેમમાંથી બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લાના ગામોને
પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવા માટે રિઝર્વ રખાયું છે. દાંતીવાડા તાલુકામાં બે
મોટા ડેમ હોવા છતાં પણ આ તાલુકાના ખેડૂતોને આ ડેમોનું પાણી સિંચાઈ માટે ઉપયોગ
આવતું નથી. તાલુકાના છેવાડાના અનેક ગામમાં અત્યારથી જ સિંચાઈના પાણી માટે વલખા છે.
તાલુકાનુ નબળું રાજકારણ અને અંદરો અંદરની ખેંચતાણના લીધે દાંતીવાડા તાલુકામાં
સ્થાનિક લોકો ધંધા-રોજગાર વિના પણ પીસાઈ રહ્યા છે. બન્ને ડેમો દાંતીવાડા તાલુકામાં
હોવા છતાં પણ તાલુકાના ધરતીપુત્રોને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેનાથી તાલુકાના
છેવાડાના અનેક ગામોના હજારો કુવા-બોર પાણીના તળ ઊંડા જતા બંધ થઈ ગયા છે.
ચોમાસામાં વરસાદ નહિવત થયો બંને ડેમો ખાલી રહ્યા હતા. જેના
કારણે દાંતીવાડા સહિત આજુબાજુ તાલુકાના આજુબાજુના ગામોની જમીનમાં ભૂગર્ભ જળની
સપાટી ઊંડી ઉતરી રહી છે. ડેમ હોવાછતાં પણ તાલુકાના અનેક ગામોમાં સિંચાઈ માટે કોઈ
વ્યવસ્થા નથી. જેના કારણે તાલુકાના ખેડૂતોને અત્યારથી જ ભય સતાવી રહ્યો છે કે
ઉનાળામાં પોતાના પશુધન કેવી રીતે બચાવવો એ ચિંતા સતાવી રહી છે.
ખેડૂતોનુ શું કહેવું છે?
સ્થાનિક ખેડૂતોના જણાવ્યાનુસાર દાંતીવાડા તાલુકામાં બે મોટા
ડેમ આવેલા છે. પરંતુ સરકારની ઢીલીનીતિ તેમજ તાલુકાની નબળી રાજનીતિથી તાલુકામાં સિંચાઈ
સહિત રોજગારીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે સરકાર દ્વારા તાલુકામાં નહેરો બનાવી ખેડૂતોને
સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોને રોજગાર મળી રહે તે માટે તાલુકામાં
જીઆઈડીસી લાવવી જોઈએ જેથી હજારો પરિવારોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે.
માલધારીઓને હિજરત કરવી પડી
દાંતીવાડા તાલુકાના અનેક નાના અને મધ્યમ વર્ગના પરિવારો
પોતાનું જીવન નિર્વાહ માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર પણ વસવાટ કરે છે. તેમજ છેવાડાના
ગામોના અનેક માલધારી પરિવારો પોતાનો મહામુલો પશુધન બચાવવા માટે અત્યારથી જ હિજરત
કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જવા લાગ્યા છે.