Get The App

કોણ છે ભદ્રા? શા માટે ભદ્રાકાળને અશુભ માનવામાં આવે છે, જાણો ધાર્મિક માન્યતા

Updated: Aug 25th, 2023

GS TEAM

Google News
Google News
કોણ છે ભદ્રા? શા માટે ભદ્રાકાળને અશુભ માનવામાં આવે છે, જાણો ધાર્મિક માન્યતા 1 - image

                                                   Image Source: Twitter

અમદાવાદ, તા. 25 ઓગસ્ટ 2023 શુક્રવાર

જ્યોતિષમાં ભદ્રાને અશુભ સમય તરીકે જાણવામાં આવે છે. ભદ્રા હોવાથી રક્ષાબંધનનો તહેવાર ત્યાં સુધી નહીં મનાવવામાં આવે જ્યાં સુધી તે પૂર્ણ ન થઈ જાય. ભદ્રાના દુષ્પ્રભાવનો એટલો ડર છે કે ભદ્રામાં રાખડી બાંધવામાં આવતી નથી અને કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી. આ વર્ષે ભદ્રાના કારણે જ રક્ષાબંધનનો તહેવાર બે દિવસ 30 અને 31 ઓગસ્ટે મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રાના સમયે કોઈ પણ શુભ કાર્ય સફળ થઈ શકતુ નથી. તેમાં જરૂર કોઈ વિઘ્ન આવે છે. 

કોણ છે ભદ્રા

કોઈ પણ માંગલિક કાર્ય કર્યા પહેલા ભદ્રાનો વિચાર કરવો જરૂરી છે. ભદ્રાના પહેલા કે બાદના મુહુર્તમાં જ શુભ કામ કરવામાં આવે છે. ભદ્રા ગ્રહોના રાજા સૂર્ય દેવ અને તેમની પત્ની છાયાની સંતાન છે. ભદ્રા શનિ દેવની બહેન છે. પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા સ્વભાવે ખૂબ જ આક્રમક અને દરેક સમયે ઉથલ-પાથલ કરનાર છે.

કેવુ છે ભદ્રાનું સ્વરૂપ

કહેવાય છે કે અસુરોના વધ માટે ભદ્રાનો જન્મ થયો હતો. તેમનું વ્યક્તિત્વ બીજાઓમાં ભય પેદા કરનાર છે. તેમના શરીરનો રંગ કાળો, મોટા-મોટા દાંત અને લાંબા વાળ છે. તે દેખાવમાં ડરામણી લાગે છે. કહેવાય છે કે જન્મ બાદથી જ તે ઉપદ્રવી સ્વભાવની હતી. 

બાળપણથી જ ભદ્રા માંગલિક કાર્યોમાં અવરોધ પહોંચાડવા લાગી

ભદ્રા હવન, યજ્ઞ અને અન્ય માંગલિક કાર્યોમાં અવરોધ પહોંચાડવા લાગી. ભદ્રાનો ડર લોકોના મનમાં બેસી ગયો છે. લોકો તેનાથી દુ:ખી રહેવા લાગ્યા. ભદ્રાના કાર્યો અને સ્વભાવના કારણે તેમના પિતા સૂર્ય દેવ પણ ખૂબ ચિંતિત હતા. તેમણે બ્રહ્મ દેવને ભદ્રા વિશે વાત કરી. 

બ્રહ્માજીએ ભદ્રાનો સમય નક્કી કર્યો

બ્રહ્મ દેવે ભદ્રાને સમજાવ્યુ અને કહ્યુ કે તમારા માટે એક સમય નક્કી કરવામાં આવે છે. તે સમયે જ તારો વાસ હશે. તુ પાતાળ, સ્વર્ગ અને પૃથ્વી લોક પર વાસ કરીશ. તે સમયે જ્યારે કોઈ શુભ કાર્ય કરે તો તુ તેમાં વિઘ્ન નાખજે. બ્રહ્મ દેવે ભદ્રાને બવ, બાલવ વગેરે કરણો બાદ નિવાસ સ્થાન આપ્યુ.

આ રીતે થઈ ભદ્રાની ઉત્પત્તિ

બ્રહ્મ દેવની સલાહ બાદ પંચાંગમાં ભદ્રાનો એક સમય નક્કી થઈ ગયો. પંચાંગમાં જ્યારે વિષ્ટિ કરણ હોય છે ત્યારે ભદ્રા કાળ હોય છે. આ પ્રકારે ભદ્રાની ઉત્પત્તિ થઈ. પૃથ્વી લોકની ભદ્રા હાનિકારક માનવામાં આવે છે, જ્યારે સ્વર્ગ અને પાતાળની ભદ્રાનો દુષ્પ્રભાવ પૃથ્વી લોક પર માનવામાં આવતો નથી. 

શા માટે ભદ્રામાં રાખડી બાંધવામાં આવતી નથી

ભદ્રાને અશુભ મુહુર્ત માનવાના કારણે તે સમયે રાખડી બાંધવામાં આવતી નથી. લોક માન્યતા છે કે રાવણની બહેને તેને ભદ્રામાં રાખડી બાંધી હતી એટલે તેનું બધુ જ ખતમ થઈ ગયુ. 

રક્ષાબંધન 2023 પર ભદ્રા ક્યારથી છે?

આ વર્ષે 30 ઓગસ્ટે રક્ષાબંધન છે અને તે દિવસે ભદ્રા રાત્રે 09:01 સુધી છે. ભદ્રા કાળ સમાપ્ત થયા બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે. ભદ્રાકાળ બાદ જ રાખડી બાંધવામાં આવશે.