આંતરિક કટોકટી, સંકટ ફરી આવે તેવા યોગ કેટલા પ્રમાણમાં છે?
અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2020, રવિવાર
મેદનીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આઝાદ ભારતની વૃષભ લગ્નની કુંડળી છે અને લગ્નમાં રાહુ છે, ભાગ્ય સ્થાન એટલે નવમું સ્થાન મકર રાશિનું છે-તેનો માલિક શનિ શત્રુ રાશિમાં કર્કમાં તેના શત્રુ ગ્રહ સૂર્ય-ચંદ્ર સાથે છે.
1962ના યુદ્ધ,1975ની કટોકટી, 2002ના ભૂકંપ વખતે પાંચથી વધુ ગ્રહણ હતા
2020ના વર્ષમાં 4 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે
માર્ચ-એપ્રિલ 1947 દરમિયાન બુધ- ગુરુ-શનિ વક્રી ભ્રમણ કરતા હતા. આ ઉપરાંત કાયમી વક્રી ભ્રમણ કરતા રાહુ અને કેતુ મળીને કુલ પાંચ વક્રી ભ્રમણનો પ્રભાવ તે વર્ષ દરમિયાન રહ્યો તેમજ પાંચ ગ્રહણની અસર પણ પડી હતી.
વૃષભ રાશિ અને મકર રાશિ પાપ ગ્રહથી પ્રભાવિત થાય છે, ગુરુ અને શનિ જેવા લાંબા સમયગાળાના ગ્રહ સાથે કે નજીકના ગાળામાં વક્રી થાય છે તેનાથી ગ્રહણનો પ્રભાવ તેમજ અન્ય યુતિ કે વેધ થવાથી ભારતમાં કંઇક મોટી ઘટના મોટેભાગે તે દરમિયાન જોવા મળે છે. હવે ગ્રહોનું અવલોકન જ્યોતિષ આધારીત જોઇએ
તો...
: 1962ના ચીન યુદ્ધ વખતે તે વર્ષ દરમિયાન પાંચ ગ્રહણ હતા. તેમજ બુધ-ગુરુ-શુક્ર-શનિ જેવા ચાર ગ્રહો ઉપરાંત રાહુ-કેતુ મળીને કુલ 6 ગ્રહોનું વક્રી ભ્રમણ તે સમયગાળામાં થયું હતું. રાહુ વૃષભ રાશિમાં તેમજ શનિ મકર રાશિમાં ભ્રમણ કરતા હતા.
: 1971ના યુદ્ધ વખતે ડિસેમ્બરમાં શનિ વૃષભ રાશિમાં આવેલ અને રાહુ તે વખતે મકર રાશિમાં જ હતો. વર્ષ દરમિયાન પાંચ ગ્રહણ હતા અને બુધ-શનિ નજીક સમયે અંતરે વક્રી ભ્રમણ કરતા હતા.
: 1975માં કટોકટી લદાઇ ત્યારે કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો અને વર્ષ દરમિયાન ચાર ગ્રહણ થયા હતા.
: 1981-85ના અનામત આંદોલન વખતે કેતુ મકર રાશિમાં ભ્રમણ કરતા તેનાથી સત્તા પક્ષની કસોટી થઇ હતી.
: 1992માં બાબરી મસ્જિદ વખતે શનિ મકર રાશિમાં જ્યારે કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો. એ વર્ષે પાંચ ગ્રહણ હતા.
: 1993માં લાતુર ભૂકંપ વખતે કેતુ વૃષભ રાશિમાં હતો અને પાંચ ગ્રહણ હતા.
: 2001માં કચ્છના ભૂકંપ વખતે શનિ વૃષભ રાશિમાં હતો, 6 ગ્રહણ હતા.
: 2002માં ગોધરા કાંડ વખતે શનિ અને રાહુની વૃષભમાં યુતિ થયેલ, વર્ષ દરમિયાન પાંચ ગ્રહણ હતા.
: 2018માં કેતુનું મકર રાશિમાં ભ્રમણ થયેલું અને તે વખતે સત્તા પક્ષને ગુજરાતની ચૂંટણીમાં અસંતોષજનક પરિણામ મળ્યા હતા.