વટ સાવિત્રી વ્રત 2019, આ વર્ષે સર્જાયો શુભ યોગ, જાણો વ્રતનો સમય
અમદાવાદ, 3 જૂન 2019, સોમવાર
મહિલા અખંડ સૌભાગ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. આ વ્રત દર વર્ષે જેઠ માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવાય છે. આ વર્ષે આ પવિત્ર દિવસ સોમવારે હોવાથી સોમવતી અમાસ અને વટ સાવિત્રી વ્રતનો સંયોગ સર્જાયો છે. આ વર્ષે આજના દિવસે સર્વાર્થસિદ્ધ યોગ પણ છે જે શુભકારી છે. આ દિવસે શનિદેવનો જન્મ પણ થયો હોવાથી આજે પીપળાની પૂજા કરવાથ શનિદેવ પણ પ્રસન્ન થાય છે.
માન્યતા એવી પણ છે કે આજ દિવસે વટની 108 પરીક્રમા કરવાથી પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસનો ચમત્કારી યોગ બપોરના 3.30 કલાક સુધી રહેશે. અમાસ ઉપરાંત પૂનમના દિવસે પણ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા બાદ સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવાથી મનોકામના પૂર્તિ થાય છે. આ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિને યમરાજથી બચાવી ફરીથી જીવિત કર્યો હતો.
એક માન્યતા એવી પણ છે કે માર્કેડેય ઋષિને ભગવાન શિવના વરદાનથી વડના વૃક્ષના પાનમાં પગનો અંગૂઠો ચુસતા બાલ મુકુંદના દર્શન થયા હતા. ત્યારથી વડના વૃક્ષની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ છે. વડની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. વડનું વૃક્ષ રોગ નાશક પણ છે, તેનાથી અનેક બીમારીઓ શરીરથી દૂર રહે છે.