અહીં 214 વર્ષ જુના આ મંદિરમાં છે મહાદેવના 108 શિવલિંગ, શ્રાવણ માસમાં દર્શનનો અનેરો મહિમા
નવ કૈલાશ મંદિરનું નિર્માણ 18 મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું
મંદિરોની દિવાલો પર રામાયણ અને મહાભારતના ચિત્રો કંડારવામાં આવ્યા છે.
Image Wikipedia |
તા. 28 જૂન 2023, બુધવાર
શ્રાવણનો મહિનો શરુ થવા જઈ રહ્યો છે. આ વખતે અધિક માસના કારણે ઘણા વર્ષો પછી આવો મોકો મળી રહ્યો છે. જ્યારે શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણના બે મહિના હશે. અને તેના કારણે શિવભક્તોને આ વખતે મંદિરમાં જઈને વધારે સમય પુજા- પાઠ કરવાનો લાભ મળી રહેશે. આ મંદિર પશ્ચિમ બંગાળના પુર્વ બર્દવાન જીલ્લાના અંબિકા કાલના ગામમાં કાલના રાજવાડી (રાજમહેલ ) માં આવેલુ છે. શ્રાવણ મહિનામાં ત્યા ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે.
નવ કૈલાશ મંદિરનું નિર્માણ 18 મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું
આ મંદિર પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં આવેલું છે. અને આ મંદિરને નવ કૈલાશ 108 તરીકે ઓળખવામાં આવે છે. અને એવુ માનવામાં આવે છે કે આ નવ કૈલાશ મંદિરનું નિર્માણ 18 મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. લોક માન્યતા પ્રમાણે એક રાત્રે રાજા તિલકચંદની વિધવા પત્ની રાણી વિષ્ણુકુમારીને સ્વપ્નમાં ભગવાન શિવે આ મંદિરનું નિર્માણ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેથી તેના પછી 1809માં મહારાણા તેજ ચંદ્ર બહાદુર દ્વારા આ મંદિરનું નિર્માણ વિષ્ણુપુરની શાહી સંપતિના હસ્તાંતરણના ઉત્સવ દરમ્યાન કરવામાં આવ્યું હતું.
એક જ પરિસરમાં છે 108 શિવ મંદિર
ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મમાં 108 નંબરનું વધારે મહત્વ છે. નવ કૈલાશ શિવ મંદિર એક જ પરિસરમાં આ 108 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. અને દરેક શિવલિંગ માટે વિશેષ આકારના નાના-નાના મંદિરની રચના કરવામાં આવી છે. જેમા એક વિશાળ પટ પર બે ગોળાકાર ભાગમાં કુલ 108 મંદિર બનાવવામાં આવ્યા છે. પહેલી ગોળાઈમાં 74 અને બીજી ગોળાઈમાં 34 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પરિસરમાં આવેલા દરેક મંદિરોની દિવાલો પર રામાયણ અને મહાભારતના ચિત્રો કંડારવામાં આવ્યા છે.