સ્વસ્તિક (સાથિયો) ચિહ્નની અજાણી વાતો જે બદલી નાખશે તમારૂ નસીબ
બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે. આને આધાર માનીને સ્વસ્તિકને જુદી જુદી વસ્તુઓથી બનાવવામાં આવે છે, જેનાં જુદા જુદા અર્થ હોય છે. ઉદાહરણ તરીકે સિંદુર કે અષ્ટગંધથી બનાવેલો સ્વસ્તિક શુભ ગણાય છે
ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકોનું બહુ મોટું મહત્વ છે. પ્રતીકોમાં કોઈને કોઈ રહસ્ય રહેલું હોય છે. જે માણસ એ પ્રતીકોનાં ઊંડાણમાં ઉતરીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે એને જ તેમના રહસ્યની ખબર પડે છે. બાકીના લોકો માટે તો તે માત્ર પ્રતીક જ બની રહે છે.
જો એ પ્રતીકોને સાચી રીતે સમજવામાં આવે તો તેમનાથી ઘણો લાભ મેળવી શકાય છે. સ્વસ્તિક એટલે 'સાથિયો' ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પ્રતીક છે. તેને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં સ્વસ્તિકને જુદી જુદી રીતે અભિવ્યક્ત કરવામાં આવે છે.
સ્વસ્તિકનો સામાન્ય અર્થ આશીર્વાદ આપનાર, આપણું મંગલ કે ભલું કરનાર એવો થાય છે.કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતી વખતે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિક શબ્દ સુ + અસ ધાતુથી બન્યો છે. 'સુ' નો અર્થ શુભ અથવા મંગલમય થાય છે. અસનું તાત્પર્ય છે. અસ્તિત્વ તથા સત્તા, આ રીતે સ્વસ્તિકનો અર્થ શુભ ભાવનાથી તરબોળ, કલ્યાણકારી તથા મંગલમય એવો થાય છે.
તેનાથી અશુભ, અમંગળ તથા અનિષ્ટનો ભય રહેતો નથી. સ્વસ્તિક એટલે એક એવી સત્તા જ્યાં ફક્ત કલ્યાણ તથા મંગલની ભાવના જ રહેલી હોય, બીજા માટે શુભ ભાવના રહેલી હોય એટલે જ સ્વસ્તિકને કલ્યાણના પ્રતીકના રૂપમાં નિરૂપિત કરવામાં આવે છે.
અમર કોષમાં સ્વસ્તિકનો અર્થ આશીર્વાદ, મંગલ કે પવિત્રકાર્ય કરવું એવાં બતાવ્યાં છે. બધી દિશાઓમાં બધાનું કલ્યાણ થાય એવી ભાવના સ્વસ્તિકના પ્રતીકમાં રહેલી છે. સ્વસ્તિક દેવતાઓની ચારેય બાજુ રહેતા આભામંડળનું ચિન્હ ગણાય છે. તેથી તેને દેવતાઓની શક્તિ તથા સામર્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં કોઈ પણ સારું કાર્ય કરતાં પહેલા મંગલાચરણ લખવાની પરંપરા હતી.
આ મંગલાચરણ લખવું દરેક જણ માટે શક્ય ન હતું, પરંતુ બધાં આ મંગલા ચરણનું મહત્વ જાણતા હતા તથા તેનો લાભ પણ લેતા હતા, તેથી ઋષિઓએ સ્વસ્તિકના ચિન્હની કલ્પના કરી, જેથી બધાના કાર્યો નિર્વિદને પૂરાં થઈ શકે.
સ્વસ્તિક ભગવાન સૂર્યનું પ્રતીક છે. સૂર્યને બધી દેવશક્તિઓનું કેન્દ્ર માનવામાં આવ્યો છે. સૂર્ય પ્રાણશક્તિનો આધાર છે. સૂર્યના લીધે જ જીવનમાં પ્રાણનો સંચાર તથા નિયમન થાય છે, તેથી સૂર્યને સ્વસ્તિકનું પ્રતીક માનીને જીવચેતનાની વિશેષતાઓ પ્રત્યે શ્રદ્ધાની સહજ અભિવ્યક્તિ કરવામાં આવી. ઋગ્વેદની એક ઋચામાં સ્વસ્તિકની ચાર ભુજાઓને ચાર દિશાઓની ઉપમા આપવામાં આવી છે.
ચારેય દિશાઓમાં બધું શુભ તથા મંગલમય થાય તથા તે હંમેશા આપણું કલ્યાણ કરે એવી ભાવના સાથે સ્વસ્તિકનું સર્જન કરવામાં આવ્યું છે. પુરાણોમાં સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ બતાવ્યું છે. એમાં શક્તિ, પ્રગતિ, પ્રેરણા અને સૌંદર્યનો દિવ્ય સમન્વય છે.
વિષ્ણુ ભગવાનની ચાર ભુજાઓની સંગતિ પણ સુદર્શન ચક્ર સાથે બેસાડવામાં આવી છે.વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિની પણ સ્વસ્તિકના ચિન્હ સાથે સંગતિ છે. ગણેશજીની સૂંઢ, હાથ, પગ, માથું વગેરે અંગો એવી રીતે ચિત્રિત્ કરવામાં આવે છે કે સ્વસ્તિકની ચાર ભુજાઓ જેવા લાગે.
સ્વસ્તિકને ઓમનું પ્રતીક માનવામાં આવે છે.ઓમજ સૃષ્ટિના સર્જનનું મૂળ છે. એમાં શક્તિ, સામર્થ્ય તથા પ્રાણ રહેલા છે.ઓમ ઇશ્વરના બધાં નામોમાં સર્વશ્રેષ્ઠ છે, તેથી સ્વસ્તિક સર્વાપરી પણ છે. અને શુભ તથા મંગલમય પણ છે.
ભારતીય સંસ્કૃતિ ઉપરાંત બૌધ, જૈન તથા શીખ ધર્મોમાં પણ સ્વસ્તિકને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. બૌદ્ધધર્મમાં તેને એક સનાતન તથા શાશ્વત પ્રતીક માનવામાં આવ્યું છે. પ્રાચીન તિબેટમાં પણ તેને એવું જ દર્શાવવામાં આવ્યું છે.
જૈન ધર્મમાં સ્વસ્તિકનું ખૂબ મહત્વ છે. જૈન મંદિરો અને ધાર્મિક ગ્રંથોમાં એને પવિત્ર ગણવામાં આવ્યો છે. ધાર્મિક કાર્યોમાં વેદી પર ચોખાથી સ્વસ્તિક બનાવવો એને મંગળ માનવામાં આવે છે. સ્વસ્તિકને જીવન ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે.
જાપાન, કોરિયા, ચીન વગેરે દેશોમાં પણ સ્તસ્તિકને શુભ માનવામાં આવે છે. ત્યાં તેને સમસ્ત સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રીસમાં પણ સ્વસ્તિકને કલાકૃતિઓ, કપડા તથા સિક્કાઓ પર અંકિત કરવામાં આવ્યો છે. ઇસુની પહેલા છઠ્ઠી શતાબ્દીમાં ગ્રીસમાં ચાંદીના સિક્કાઓ પર સ્વસ્તિકના ચિન્હો જોવા મળ્યા છે.
લેટિન, અમેરિકા, બ્રાઝીલ વગેરેમાં પણ સ્વસ્તિકનાં પ્રમાણ જોવા મળે છે. બાલ્ટિક દેશો-લેટિવિયા લિથુઆનિયા તથા એસ્ટોનિયાનું તો રાષ્ટ્રીય ચિન્હ જ સ્વસ્તિક છે. ત્યાંના બધા ધાર્મિક સ્થળો પર સ્વસ્તિક વાળા ધ્વજ ફરકતા જોવા મળે છે.
એ દેશો પૂર્ણરૂપે ભારતીય સંસ્કૃતિમાંથી જન્મ્યા છે. તેથી તેમને ત્યાં પણ ભારતીય સંસ્કૃતિની જેમ જ સ્વસ્તિકને મંગલકારી માનવામાં આવે છે. ત્યાં એને શુભકાર્યોનો સૂચક તથા સૃષ્ટિનો આધાર માનવામાં આવે છે.
ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રમાણોને આધારે જોઈએ તો સ્વસ્તિક લગભગ સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ રૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ સ્વસ્તિકને મંગલ પ્રતીક માને છે. સાઈપ્રસમાં ખોદકામ દરમ્યાન મળેલી મૂર્તિઓમાં પણ સ્વસ્તિકના ચિન્હો જોવા મળે છે. એવા જ પ્રમાણો ઇજિપ્ત, ગ્રીસ વગેરે દેશોમાં ખોદકામ દરમ્યાન જોવા મળ્યાં છે.
સ્વસ્તિકની આકૃતિના સંદર્ભમાં એવો મત છે કે તેની આકૃતિ બે પ્રકારની હોઈ શકે છે.પહેલી આકૃતિમાં રેખાઓ આગળ તરફ સંકેત કરીને જમણી બાજુ વળી જાય છે તેને દક્ષિણમુખી સ્વસ્તિક કહે છે. બીજી આકૃતિમાં રેખાઓ પાછળની તરફ સંકેત કરતાં ડાબી બાજુ વળે છે તેને વામમુખી કે વામાવર્ત સ્વસ્તિક કહે છે.
તે ઘડિયાળના કાંટાની દિશાથી વિપરીત છે. દક્ષિણ મુખી સ્વસ્તિક ઘડિયાળનાં કાંટાની દિશામાં વળે છે. તેને શુભ, મંગલકારી તથા સૌભાગ્ય વર્ધક માનવામાં આવે છે. વામાવર્ત સ્વસ્તિક અમંગળ તથા અશુભનો સૂચક ગણાય છે. તેથી મંગલ તથા શુભકર્મોમાં દક્ષિણાવર્તી સ્તસ્તિક બનાવવામાં આવે છે.
આચાર્ય અભિનવ ગુપ્ત સ્તસ્તિકની રેખાઓને નાદબ્રહ્મ કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ માને છે. એમાં શ્રુતિ, અનુભૂતિ, તથા યુક્તિનો દિવ્ય સંગમ જોવા મળે છે. સ્વસ્તિકનું આધ્યાત્મીક મહત્વ પણ છે. જયાં સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાંની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે. આને આધાર માનીને સ્વસ્તિકને જુદી જુદી વસ્તુઓથી બનાવવામાં આવે છે, જેનાં જુદા જુદા અર્થ હોય છે. ઉદાહરણ તરીકે સિંદુર કે અષ્ટગંધથી બનાવેલો સ્વસ્તિક શુભ ગણાય છે.
સ્વસ્તિક નકારાત્મકતાને દૂર કરી સકારાત્મક ઊર્જામાં વધારો કરે છે. એટલે જ શુભ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે.ભારતીય સંસ્કૃતિનાં પ્રતીકોનાં અર્થને સમજવામાં આવે તો તેમના દ્વારા અદ્ભૂત લાભ મેળવી શકાય છે.