Surya Grahan December 2020 : જાણો, સૂર્ય ગ્રહણ પર શું કરવું જોઇએ અને શું નહીં?
નવી દિલ્હી, તા. 14 ડિસેમ્બર 2020, સોમવાર
આજે સાંજે 7 કલાકને 3 મિનિટ પર સૂર્ય ગ્રહણ થઇ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 12 કલાકને 23 મિનિટ પર ખતમ થશે. આ સૂર્ય ગ્રહણ દક્ષિણ આફ્રીકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકામાં સંપૂર્ણપણે જોવા મળશે પરંતુ ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે નહીં. જો કે, સૂર્ય પર ગ્રહણની અસર બધા જાતકો પર પડશે. જાણો, સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઇએ.
ગ્રહણના સમયે ભોજન અને પાણીનું સેવન ન કરવું જોઇએ. કહેવાય છે કે ગ્રહણના સમયે વ્યક્તિની પાચન શક્તિ મંદ થઇ જાય છે. એવામાં ભોજન કરવાથી વ્યક્તિના બીમાર પડવાની શક્યતાઓ વધી જાયે છે.
ગ્રહણ દરમિયાન કોઇ પણ શુભ કામની શરૂઆત કરવાથી તે કામમાં નિષ્ફળતા જ મળે છે. એટલા માટે ગ્રહણ થવા પર કોઇ પણ શુભ કામ ન કરશો.
ગ્રહણ દરમિયાન વાળમાં કાંસકો, દાંતની સફાઇ અને નખ કાપવાનું અશુભ માનવામાં આવે છે. ગ્રહણ કાળ દરમિયાન ક્યારેય પણ ઊંઘવું ન જોઇએ.
ગર્ભવતી મહિલાઓને ગ્રહણના પડછાયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે ગ્રહણના પડછાયાની અસર ગર્ભમાં વિકસતાં શિશુ પર પડે છે અને તેનાથી તેને નુકશાન પહોંચી શકે છે.
ગ્રહણકાળ દરમિયાન ચપ્પુ, અણીદાર ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરો. આ સમયે કોઇ પણ પ્રકારના સિવણનું કામ કરવું શુભ માનવામાં આવતુ નથી.
ગ્રહણ કાળમાં પહેલાથી કાપેલી શાકભાજી અને ફળોનો ઉપયોગ ન કરવો જોઇએ. ગ્રહણ કાળમાં તેને અશુદ્ધ માનવામાં આવે છે.
ગ્રહણ કાળમાં શું કરશો :- સૂર્ય ગ્રહણ શરૂ થતાં પહેલા ખુદને શુદ્ધ કરી લો. ગ્રહણ કાળ પહેલાં તમારે સ્નાન કરીને શુદ્ધ થઇ જવું જોઇએ.
ગ્રહણ કાળમાં પોતાના ઇષ્ટ દેવ અથવા દેવીની પૂજા અર્ચના કરી શકો છો. આજે સોમવતી અમાસ છે તો આજે તમે શંકર ભગવાનની પણ પૂજા કરી શકો છો. ગ્રહણ કાળ દરમિયાન સૂર્ય દેવના મંત્રનો જાપ કરો.
સૂર્ય ગ્રહણમાં દાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણ સમાપ્ત થવા પર ગંગાજળનો છંટકાવ કરીને ઘરને શુદ્ધ કરી લો. ગ્રહણ ખતમ થયા બાદ એકવાર ફરીથી સ્નાન કરી લો. તમે કોઇ પણ ધાર્મિક ગ્રંથનો પાઠ કરી શકો છો.
જો તમારે ગ્રહણ કાળ દરમિયાન ખાવા-પીવાની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરવો છે તો તેમાં તુલસીના પાંદડાં નાંખી દો. તુલસીના પાંદડાં નાંખ્યા બાદ આ વસ્તુઓ શુદ્ધ થઇ જાય છે.
જો પરિવારમાં કોઇ વ્યક્તિ ગંભીર બીમારીથી ગ્રસ્ત છે તો ગ્રહણ કાળમાં મહામૃત્યુંજય મંત્રનો જપ કરાવાનું ફળદાયી માનવામાં આવે છે.