નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2019, બુધવાર
ધરતી પર કૃષ્ણ ભગવાનના નિવાસ સ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ છે. અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે. તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે. અહીં તેમના ચરણોના નિશાન પણ છે.
એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરી 5000 વર્ષ પૂર્વે અહીં આવ્યા અને દ્વારકાની સ્થાપના કરી હતી. દ્વારકા નગરી આદિ શંક્રાયચાર્ય દ્વારા સ્થાપિત દેશના ચાર ધામમાંથી એક છે. વળી આ સ્થાન પવિત્ર સપ્તપુરીમાંથી પણ એક છે. અહીં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ હરિ ગ્રહ હતો ત્યાં આજે દ્વારકાધિશ મંદિર બનેલું છે.
મંદિરનું મહત્વ
સમુદ્રથી ઘેરાયું દ્વારકા મંદિરનું સૌદર્ય અદ્ભુત છે. મંદિર સુધી પહોંચતા સમુદ્રના મોજાં પ્રભુના ચરણ પખારતા હોય તેમ જણાય છે. આ મંદિરનું નિર્માણ પણ ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરમાં મોક્ષ દ્વાર અને દક્ષિણમાં સ્વર્ગ દ્વાર છે. મંદિરના શિખર પર લહેરાતી બહુરંગી ધ્વજા મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.
મુખ્ય મંદિર પાસે ત્રિકમરાય ભગવાન અને રાજા બલિની મૂર્તિ પણ બિરાજે છે. મંદિરમાં માં અંબાની સુંદર મૂર્તિ સાથે દક્ષિણમાં કાળા રંગની એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેને પદ્યુન્મજી કહેવાય છે. અહીં બલદેવજી અને અનિરુદ્ધની પણ મૂર્તિ છે. મંદિરમાં ભગવાનની દરેક મૂર્તિ અદ્ભુત સૌંદર્ય ધરાવે છે.
અન્ય પર્યટન સ્થળ
અહીં પંચતીર્થ છે જ્યાં કુવાના જલથી સ્નાન કરવાની પરંપરા છે. આ ઉપરાંત દ્વારકા નજીક નાગેશ્વર શિવ મંદિર, બેટ દ્વારકા, રુક્ષ્મણી મંદિર, ગોમતી ઘાટ, રણછોડજી મંદિર, જ્ઞાન કુંડ, દામોદર કુંડ, સૂર્યનારાયણ મંદિર જેવા અનેક પવિત્ર સ્થળ આવેલા છે.


