વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં આ બાબતોનું વિશેષ ધ્યાન રાખો
- વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ રસોડાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે
નવી દિલ્હી, તા. 14 જુલાઇ 2020, મંગળવાર
વાસ્તુશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર રસોઇઘરનું મહત્ત્વ દરેક જગ્યાએ દર્શાવવામાં આવ્યું છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે રસોડામાં કામ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નહીં તો ઘરમાં વાસ્તુદોષ વધે છે. આ સાથે જ તમામ પ્રકારની મુશ્કેલીઓ પણ આવે છે. જાણો, કઇ બાબતો છે કે જેનું તમારે ધ્યાન રાખવું જોઇએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારે પણ બૂટ-ચંપલ પહેરીને ન જવું જોઇએ. આમ કરવાથી વ્યક્તિને આર્થિક નુકશાન થાય છે. આ ઉપરાંત ક્યારેય પણ ચપ્પુ, કાતર અથવા તો કોઇ પણ પ્રકારની અન્ય અણીદાર વસ્તુઓ પણ રસોડાની દીવાલ પર લટકાવવી ન જોઇએ. વસ્તુઓની આ પરિસ્થિતિ પણ કેટલાય પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ભોજન બનાવો ત્યારે પહેલી રોટલી અલગ સાફ વાસણમાં રાખી લો. આ ઉપરાંત તમે ભોજનમાં જે પણ બનાવ્યું હોય તેને પણ રોટલી પર રાખીને પ્રણામ કરો. ત્યારબાદ તે ગાય માતાને ખવડાવી દો. ત્યારબાદ જ ઘરના સભ્યોએ તે ભોજન ગ્રહણ કરવું જોઇએ. પરંતુ ક્યારેક એવું શક્ય ન બને તો જમતા પહેલા અથવા પરિવારને ભોજન પિરસતા પહેલા ગાય માતા માટે અલગથી રોટલી અને અન્ય ભોજન નિકાળીને અલગ રાખી દો. કહેવાય છે કે જે પણ વ્યક્તિ આમ કરે છે તેની લાઇફમાં ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યા રહેતી નથી. આ સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડામાં દૂધ રાખતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. દૂધને હંમેશા ઢાંકીને રાખવું જોઇએ. નહીં તો ઢાંક્યા વગર રાખેલું દૂધ ઘરમાં કોઇને કોઇ પરેશાનીને આમંત્રણ આપે છે. આ સમસ્યા આર્થિક, શારીરિક અને માનસિક એમ કોઇ પણ પ્રકારની હોઇ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ભોજન કરવાથી કેટલાય પ્રકારના ગ્રહ-દોષથી મુક્તિ મળી જાય છે. પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં જ્યારે પણ ભોજન કરીએ ત્યારે દિશાનું વિશેષ ધ્યાન રાખો. ક્યારેય પણ રસોડાની વચોવચ ન બેસશો. આ સાથે જ ભોજન કરતી વખતે પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ મુખ ન કરશો. આ અશુભ માનવામાં આવે છે. રસોડામાં રાખવામાં આવેલા ગેસની પણ સ્થિતિ એવી હોવી જોઇએ કે બહારથી કોઇની નજર તેના પર ન પડે.