લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ
અમદાવાદ, 14 મે 2019, મંગળવાર
લોઢાની વીંટીનો ઉલ્લેખ અને તેને પહેરવાથી થતા લાભ વિશે તમે અનેકવાર સાંભળ્યું હશે પરંતુ આ વીંટી દરેક વ્યક્તિને લાભ કરતી નથી. આ વીંટી દરેક વ્યક્તિએ સમજ્યા વિચાર્યા વિના પહેરવી જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોઢું શનિને પ્રિય ધાતુ છે. તેથી કુંડળીમાં શનિની દશા, મહાદશા કે અંતર્દશા ચાલતી હોય અથવા તો સાડાસાતી કે પનોતી ચાલતી હોય તો જ આ વીંટી જાતકએ ધારણ કરવી જોઈએ. આ વીંટી શનિના પ્રકોપથી રક્ષણ કરે છે.
શનિના પ્રકોપના કારણે જાતકના જીવનમાં સમસ્યાઓ આવે છે. વળી તેને આર્થિક, માનસિક, શારીરિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તેવામાં લોઢાની વીંટી તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે. પરંતુ તે ધારણ કરતાં પહેલા તેના વિશે જાણવું જરૂરી છે.
1. નિયમાનુસાર જાતકએ કોઈપણ ધાતુ ધારણ કરતાં પહેલા પોતાની કુંડળી ખાસ જોવડાવવી. કુંડળી અનુસાર જ કોઈપણ ધાતુ ધારણ કરવી. શનિની મહાદશા ચાલતી હોય પરંતુ કુંડળી દેખાડ્યા વિના લોઢું પણ ધારણ કરવું નહીં. અન્યથા તેનાથી લાભ થવાને બદલે નુકસાન થઈ શકે છે.
2. કુંડળીમાં શનિ ભારે હોય પરંતુ સૂર્ય, શુક્ર અને બુધ એક સ્થાનમાં હોય તો લોઢાની વીંટી ધારણ કરવી ઘાતક સાબિત થાય છે. આવી સ્થિતીમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ. તેનાથી શનિ પણ મજબૂત સ્થિતીમાં આવશે. તેનાથી વિપરિત જો બુધ અને રાહુ કુંડળીમાં હોય તો લોઢાની વીંટી સારી સાબિત થાય છે.
3. જો બુધ 12 ભાવમાં હોય અથવા બુધ તેમજ રાહુ એક સ્થાનમાં હોય તો લોઢાની વીંટી નહીં પરંતુ લોઢાની ચેન ગળામાં પહેરવી અથવા તો કડું બનાવી હાથમાં ધારણ કરવું.
કુંડળીમાં સૂર્ય, શુક્ર અને બુધ એકસાથે હોય તો લોઢું ધારણ કરવું નહીં. આ ઉપરાંત કુંડળીમાં શનિ શુભ ફળદાયી હોય તેણે પણ લોઢું ધારણ કરવું નહીં. શનિ, રાહૂ અને કેતુનો પ્રકોપ દૂર કરવા જ લોઢાની વીંટી ધારણ કરવી જોઈએ. આ વીંટી જમણા હાથની મધ્યમા આંગળીમાં જ પહેરવી કારણ કે તેની નીચે શનિ પર્વત હોય છે. વીંટી હંમેશા શનિવારે સંધ્યા સમયે પહેરવી. ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે લોઢાની વીંટી ચમકતી રહે તે કાળી પડી ન જાય.