Shravan 2020 : શ્રાવણ માસમાં અકાળ મૃત્યુ દૂર કરી દીર્ઘાયુ મેળવવા માટે થાય છે પૂજા
- શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ ભક્તો શિવજીની પૂજા અર્ચના કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે
નવી દિલ્હી, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
વૈશ્વિક મહામારી કોરોના કહેરની અસર શ્રાવણ મહિનામાં પણ જોવા મળી રહી છે સામાન્ય રીતે ભગવાન શિવના ભક્તો શિવ મંદિરમાં પૂજા કરવા માટે એકઠા થતા હોય છે જ્યાં આ વર્ષે શિવજીના ભક્તો ઘરે જ રહીને ભોલેનાથની પૂજા કરી રહ્યા છે.
જ્યોતિષના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનો શિવજીને વિશેષ પ્રિય હોય છે. શિવ પુરાણમાં ભગવાન શંકરે સ્વયં આ મહિનાનું મહત્ત્વ જણાવતા કહ્યુ કે આ મહિનામાં જે પણ મારી પૂજા અર્ચના કરે છે તેમને મારી કૃપા પ્રાપ્ત થાય છે એટલા માટે શ્રાવણ મહિનામાં જે પણ મનુષ્ય ભગવાન ભોલેનાથની આરાધના કરે છે તેમની પર શિવ કૃપા વરસતી રહે છે. આ સાથે જ જો ભક્ત પંચામૃત (દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ)થી ભગવાન શંકરની પૂજા કરશે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવામાં પણ અલગ મહત્ત્વ હોય છે.
ભગવાન ભોલેનાથી સ્વયં કહ્યુ છે કે તમામ મહિનાઓમાં શ્રાવણનો મહિનો તેમને ખૂબ જ પ્રિય છે. તેનું મહત્ત્વ સાંભળવા યોગ્ય છે એટલા માટે તેને શ્રાવણ માસ કહેવામાં આવે છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્ર યુક્ત પૂનમ હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનું મહત્ત્વ સાંભળવા માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલા માટે પણ આ શ્રાવણ મહિનો કહેવાય છે.
'અકાલ મૃત્યુ હરણમ્ સર્વ વ્યાધિ વિનાશમ્' એટલે કે શ્રાવણ મહિનામાં અકાળ મૃત્યુ દૂર કરીને દીર્ઘાયુ પ્રાપ્ત કરવા માટે અને અન્ય તમામ વ્યાધિઓને દૂર કરવા માટે પૂજા કરવામાં આવે છે. મરકંડૂ ઋષિના પુત્ર મારકંડેયે લાંબા આયુષ્ય માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરીને શિવજીની કૃપા પ્રાપ્ત કરી હતી, જેનાથી પ્રાપ્ત થયેલ મંત્ર શક્તિઓની સામે યમરાજે પણ પોતાનું મસ્તક નમાવી દીધું હતું. શ્રાવણ માસમાં સોમવારના વ્રતનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસોમાં ભક્ત શિવજીની આરાધના કરીને શિવ કૃપા મેળવી શકે છે.