Raksha Bandhan 2022: ભદ્રા વિષ્ટિ કરણ શું છે?
Updated: Aug 9th, 2022
અમદાવાદ,તા. 9 ઓગસ્ટ 2022, મંગળવાર
રક્ષાબંધનનો તહેવાર હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. શ્રાવણ મહિનાની પૂનમે આ તહેવાર આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે.
હિન્દુ પંચાંગના પાંચ મુખ્ય અંગ જેને માનવામાં આવે છે તે છે,
૧ તિથિ
૨ વાર
૩ યોગ
૪ નક્ષત્ર અને ૫ કરણ
કરણને તિથિનો અડધો હિસ્સો માનવામાં આવે છે. કરણ સંખ્યા કુલ ૧૧ હોય છે. આ ૧૧ કરણોમાં (૭) સાતમું કરણ વિષ્ટિ ભદ્રા છે શાસ્ત્રની કથા અનુસાર બ્રહ્માજીએ ભદ્રાને કરણમાં સ્થાન આપી શાંત કર્યા હતા.
ભદ્રા-યમ દેવની પુત્રી અને શનિદેવની બહેન
ભદ્રા વિષ્ટિ કરણ માટે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે, તે યમ દેવની પુત્રી અને શનિદેવની બહેન છે જે ભદ્રા ત્રણેય લોક સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં ભ્રમણ કરતી રહે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં હોય છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ અથવા મકર રાશિમાં ગોચર કરે છે, ત્યારે ભદ્રા પાતાળમાં રહે છે અને જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય ત્યારે ભદ્રા વિષ્ટિ કરણનો યોગ થાય ત્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે. તેથી રક્ષાબંધન જેવા શુભ કાર્ય પ્રસંગે ભદ્રા પૃથ્વીલોકમાં હોય તેવા સમયે રક્ષાબંધન તેમજ કોઈપણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે કારણ કે તેમાં વિઘ્ન આવે છે, અન્ય લોકોમાં હોય તો વિઘ્ન કારક નથી તેમ કહેવાય છે.
બીજું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે,સોમવાર અને શુક્રવારની ભદ્રાને કલ્યાણી, શનિવારની ભદ્રાને વૃશ્ચિકી, ગુરુવારની ભદ્રાને પુણ્યવતી અને રવિવાર, બુધવાર અને મંગળવારની ભદ્રાને ભદ્રિકા કહેવામાં આવે છે
ભદ્રા લોક વાસ - ભદ્રાના સ્થાનો
જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં હોય છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ અથવા મકર રાશિમાં ગોચર કરે છે, ત્યારે ભદ્રા પાતાળમાં રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે, તેથી જ આ સમય દરમિયાન તેને અશુભ અને વર્જિત માનવામાં આવે છે. અન્ય લોકોમાં તે શુભ માનવામાં આવે છે. આમાં શનિવારની ભદ્રા વિશેષ અશુભ છે.
ભદ્રા વિષ્ટિ કરણમાં આ કર્યો કરી શકાય
પ્રાચીન શાસ્ત્રોમાં આવા કેટલાક કાર્યોનું વર્ણન પણ છે, જે જો ભદ્રા કાળમાં કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. જેમ કે
યજ્ઞ બલિદાન
શત્રુ પર પરાક્રમ
અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ
સ્ત્રી સંબંધમાં સ્નાન કરવુ
કેસ દાખલ કરવો
ઓપરેશન કરવું
અગ્નિદાહ
ભેંસ, ઘોડો, ઊંટને ખરીદ વેચાણ કરવા માટે શુભ માનવામાં આવે છે.
ભદ્રા વિષ્ટિમાં આ કાર્યો ન કરવા
ભદ્રા વિષ્ટિ કરણમાં લગ્ન કરવા, બાળકનું મુંડન કરવું, નવા ઘરની શરૂઆત કરવી, ઘરમાં પ્રવેશ કરવો, રક્ષાબંધન વગેરે વર્જિત ગણવામાં આવે છે.
પણ જો અત્યંત જરૂરી હોય તો ભદ્રા મુખ કાળનો ત્યાગ કરીને પછીના મધ્ય ભાગનો સમય લઈ શકાય.
-જાણીતા જ્યોતિષી ચેતન પટેલ
આ પણ વાંચો: Raksha Bandhan 2022: આ વર્ષે રક્ષાબંધન 11 ઓગસ્ટ ગુરુવારના રોજ ઉજવાશે