જાણો કેવી રીતે બને છે વૃષભ લગ્નના રાજયોગ
વૃષભ એક સ્થિર લગ્ન છે. આ ચક્રના 30 અંશથી 60 અંશની વચ્ચે જોવા મળે છે. વૃષભનો અર્થ થાય છે બળદ, જે એખથ મહેનતુ પ્રાણી છે. બળદ સ્વભાવે શાંત હોય છે પણ જો એકવાર ગુસ્સામાં આવી જાય તો ઉગ્રરૂપ ધારણ કરી લે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે, શુક્ર પણ સૌમ્ય ગ્રહ છે. પૃથ્વી રાશિની આ રાશિ સ્થિર સ્વભાવની હોય છે. આ લોકો એકવાર જે નક્કી કરી લે એને કરીને જ ઝંપે છે.
શુક્ર લગ્નેશ હોવાથી તેને લગ્નની કુંડળીમાં શુભ માનવામાં આવે છે. બુધ ધનેશ અને પંચમેશ હોવાથી આ લગ્નમાં કારક ગ્રહ હોય છે. શનિ પણ ભાગ્યેશ અને દશમેશ હોવાથી શુભ યોગકારક બને છે, હા પણ તે કુંડળીમાં બળવાન હોવો જોઈએ. આજે જાણીશું કે વૃષભ લગ્નની કુંડળીમાં બનતા રોજયોગ શું કહે છે...
વૃષભ લગ્નમાં જેનો જન્મ થયો હોય અને પૂર્ણ ચંદ્ર લગ્નમાં ઉચ્ચનો બેઠો હોય સાથે જ ચાર, પાંચ, છ ગ્રહ ઉચ્ચના કે પછી સ્વગ્રહી કે મિત્ર, શુભ નવાંશમાં, કેન્દ્ર ત્રિકોણમાં બળી હોય તો અથવા ઉચ્ચનો ચંદ્રમા લગ્નમાં, સિંહનો સૂર્ય ચતુર્થમાં, કુંભનો શનિ દશમમાં અને વૃશ્ચિકનો ગુરુ સપ્તમ સ્થાને હોય તો વ્યક્તિ કોઈ મોટા પદ બેસીને સુખ ભોગવે છે. વૃષભનો ચંદ્રમા લગ્નમાં હોય, સિંહનો સૂર્ય ચતુર્થ ભાવમાં હોય, વૃશ્ચિકનો ગુરુ સપ્તમ ભાવમાં હોય, કુંભનો શનિમાં હોય તો અથવા ઉચ્ચનો ચંદ્ર લગ્નમાં હોય, ઉચ્ચનો ગુરુ ભ્રાતસ્થાને , ઉચ્ચનો બુધ ચતુર્થમાં અને ઉચ્ચનો મંગળ ભાગ્ય સ્થાનમાં હોય તો વ્યક્તિ એક સારો રાજનેતા બને છે.
ચાર ગ્રહપણ સ્વગ્રહી બળવાન બેસે તો...
- મિથુન બુધ, કર્કનો ચંદ્ર, સિંહનો સૂર્ય, વૃશ્ચિકનો મંગળ, કુંભનો શનિ, મીનનો ગુરુ અને વૃષભનો શુક્ર હોય તો આ તમામ ગ્રહો સ્વગ્રહી છે. આમાંથી જો ચાર ગ્રહો પણ સ્વગ્રહે બળવાન બેઠા હોય તો રાજયોગ બને છે. આવા જાતકો સમાજમાં બહુ લોકપ્રિય રહીને સમાજસેવા કરે છે.
- જો વૃષભ લગ્નમાં ગુરુ, મિથુનમાં ચંદ્ર, મકરમાં ઉચ્ચનો મંગળ, સિંહમાં શનિ, કન્યામાં બુધ-સૂર્ય અને તુલાનો શુક્ર હોય તો જાતક બહુ મોટો માણસ બને છે.
આમ મળે છે સુખ
- જો વૃષભ રાશિમાં સ્વગૃહી શુક્ર હોય, મિથુનનો ચંદ્ર બીજા સ્થાનમાં બળવાન હોય અને કર્કનો ગુરુ પોતાના ઉચ્ચાંશમાં તૃતીય સ્થાને હોય તો જાતક પરાક્રમી, ધનવાન, યશસ્વી અને આદરણીય બને છે.
- જો લગ્નમાં ઉચ્ચનો ચંદ્ર, ચોથે સ્વગૃહી સૂર્ય, સપ્તમમાં વૃશ્ચિકનો ગુરુ અને દશમમાં કુંભનો શનિ હોય તો માણસ પોલીસ કે સેનામાં પોતાના પરાક્રમોથી ધન, યશ અને ઇનામો પ્રાપ્ત કરે છે. જો ઉચ્ચનો ચંદ્રમાં લગ્નમાં, મિથુનનો ગુરુ બીજા ભાવમાં, શનિ કે સૂર્યના છઠ્ઠા સ્થાને, મીનનો શુક્ર એકાદશ સ્થાનમાં હોય તો માણસ ધનવાન બને છે.