Rahu Shatabhisha Nakshatra: દ્રિક પંચાંગ અનુસાર, આગામી 31 મેના રોજ રાહુ ગ્રહ શતભિષા નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જ્યાં તે 2 ઑગસ્ટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને માયાવી અને હંમેશાં ઊંધી ચાલ ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. રાહુની સ્થિતિમાં થતો કોઈપણ બદલાવ વ્યક્તિની આર્થિક સ્થિતિ, નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે. રાહુના આ નક્ષત્ર પરિવર્તનના કારણે ખાસ કરીને 4 રાશિના જાતકો માટે ધન સંકટ અને વણજોઈતા ખર્ચાઓ વધવાની આશંકા છે, જેના લીધે તેમની માનસિક ચિંતાઓમાં પણ વધારો થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે રાહુનું આ પરિવર્તન આર્થિક મોરચે અસ્થિરતા લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી બચત (સેવિંગ્સ) ઓછી થઈ શકે છે અને અચાનક કોઈ મોટો ન ધારેલો ખર્ચ સામે આવી શકે છે, જે તમારું બજેટ ખોરવી નાખશે. આ સમયે કોઈપણ પ્રકારના મોટા રોકાણ કે લોટરી-સટ્ટા જેવા જોખમી કાર્યોથી સંપૂર્ણ દૂર રહેવું હિતાવહ છે. આ ઉપરાંત, કોઈની પાસેથી લોન કે કરજ લેવાની સ્થિતિથી પણ બચવું જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને આ ગાળામાં પોતાની વ્યાપારી અને નાણાકીય યોજનાઓમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અથવા બિઝનેસ પાર્ટનર સાથે વૈચારિક મતભેદ કે ગેરસમજ થવાના કારણે આર્થિક નુકસાન થવાની આશંકા રહેશે. અટકેલા નાણાં પરત મળવામાં હજુ વધુ વિલંબ થઈ શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરવો અને રોકાણના નિર્ણયો ઉતાવળમાં લેવાને બદલે અનુભવી લોકોની સલાહ લઈને જ કરવા.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે રાહુનો આ પ્રભાવ માનસિક તણાવ અને આર્થિક દબાણ બંને એકસાથે વધારી શકે છે. આ સમયે તમારી આવકના સ્ત્રોતમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓ અને સ્વાસ્થ્ય પાછળ અતિશય ધન ખર્ચ થવાને કારણે માનસિક ચિંતા વધશે. પોતાની આર્થિક સ્થિતિ જોઈને જ ખર્ચ કરવો અને ફિઝુલખર્ચી પર સખત નિયંત્રણ રાખવું જરૂરી છે. કાર્યસ્થળ પર વાદ-વિવાદથી બચવું, અન્યથા તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનું ગોચર આર્થિક બાબતોમાં અત્યંત સાવધ રહેવાની ચેતવણી આપી રહ્યું છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા અથવા કોઈ નવી ડીલ ફાઇનલ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અડચણો આવી શકે છે. શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં આ સમયે પૈસા લગાવવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાથી બચવું, કારણ કે આ સમયગાળામાં આપેલા પૈસા પાછા મળવા ખૂબ જ મુશ્કેલ બની જશે.
આ પણ વાંચો: 31મી મેએ અધિક માસની પૂનમ પર દુર્લભ સંયોગ! પૈસાની તંગી દૂર કરવા કરો આ 4 ઉપાય
રાહુના નકારાત્મક પ્રભાવથી બચવાના ઉપાયો
જો તમારી રાશિ પર રાહુની નકારાત્મક અસર જોવા મળી રહી હોય, તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક સરળ ઉપાયો કરીને તેના પ્રભાવને ઘટાડી શકાય છે. દર શનિવારે રાહુના બીજ મંત્ર 'ઓં રાં રાહવે નમઃ'નો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત, પક્ષીઓને નિયમિત ચણ તરીકે સાત પ્રકારનું અનાજ (સતનાજા) ખવડાવવું લાભદાયી રહે છે. તેમજ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ, અડદની દાળ અથવા ધાબળાનું દાન કરવાથી રાહુના દોષમાંથી મુક્તિ મળે છે.


