આજથી પુષ્ય નક્ષત્ર : 400 વર્ષ બાદ દુર્લભ યોગ, જમીન-ફ્લેટ, વાહન, સોના-ચાંદીની ખરીદી માટે આ છે શુભ મુહૂર્ત
4 નવેમ્બર શનિવારે સવારે 7:59 વાગ્યાથી પુષ્ય નક્ષત્રની શરુઆત થઈ
આવતીકાલ 5 નવેમ્બરે સવારે 10:30 વાગ્યા સુધી રહેશે પુષ્ય નક્ષત્ર
Pushya Nakshatra 2023 : શનિ અને રવિવારે પુષ્ય નક્ષત્ર છે. 4 નવેમ્બર શનિવારે સવારે 7:59 વાગ્યાથી પુષ્ય નક્ષત્રની શરુઆત થઈ છે, જે આવતીકાલ 5 નવેમ્બરે સવારે 10:30 વાગ્યા સુધી રહેશે. બંને દિવસ નવા કાર્યની શરુઆત, જમીન, ભવન, વાહન, સોના-ચાંદીના ઘરેણાં સહિતની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ છે.
હિંદુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનાથી સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર ગણાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરૂં મહત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે કારણ કે દેવ ઉઠી એકાદશી શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. જોકે અન્ય પ્રદેશોમાં ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધીનો દિવાળીનો તહેવાર મનાવાય છે.
આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 (Diwali 2023 Date)ના રોજ આવી રહી છે. પાંચ દિવસ ચારે બાજુ ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ હોય છે અને તેની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે. તો આવો આપણે જાણીએ પુષ્ય નક્ષત્રના મૂહુર્ત અને સમય અંગે.
પુષ્ય નક્ષત્રનો યોગ (4/11/2023)
આસો વદ સાતમ તા. 4 નવેમ્બર શનિવારના રોજ સવારના 7:59 વાગ્યાથી પુષ્ય નક્ષત્રનો યોગ શરૂ થાય છે.
''ચોપડા-સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા'', ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા, ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ.
તા. 4/11/2023 આસો વદ સાતમ શનિવારને સવારે 7:59 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે. નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવા-ઓર્ડર આપવા, તેમજ સોનું-ચાંદી-આભૂષણ-સિક્કા, તેમજ ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા ઓર્ડર આપવાનો શ્રેષ્ઠ સમય
- બપોરના 12:25 થી 4:30 વાગ્યા સુધી
- સાંજના 6:04 થી 7:35 વાગ્યા સુધી
- રાતના 9:15 થી 12:20 વાગ્યા સુધી
રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ (5/11/2023)
આસોવદ આઠમ રવિવાર તા. 5/11/2023 ના રોજ સવારના 10:30 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર છે. તેથી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે.
સોના-ચાંદી-ચોપડા-આભૂષણ-સિક્કા ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા-ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ
તા. 5/11/2023 આસો વદ આઠમ રવિવારે સવારના 10:30 વાગ્યા સુધી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે. નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવા-ઓર્ડર આપવા તેમજ સોનું-ચાંદી આભૂષણ-સિક્કા ''ગુજરાત સમાચાર'' પંચાગ ખરીદવા-ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે.
સમય - સવારના 7:05 થી 10:30 વાગ્યા સુધી
400 વર્ષમાં અષ્ટ મહાયોગનો સંયોગ
જ્યોતિષ આચાર્યના અનુસાર, 15 નવેમ્બર સુધી તિથિ, વાર અને નક્ષત્રોથી મળીને રવિ પુષ્યની સાથે અષ્ટ મહાયોગનો એવો દુર્લભ સંયોગ છેલ્લા 400 વર્ષમાં નથી બન્યો. આ દિવસે સર્વાર્થસિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃતસિદ્ધિ અને રવિયોગ બની રહ્યા છે. આ શુભ સંયોગોથી સુખ અને સમૃદ્ધિ વધશે. વિશેષ યોગ સંયોગમાં ઘરેણા, નવી પ્રોપર્ટની ખરીદી કે ફ્લેટ બુક કરાવવા શુભ રહેશે.