Mauni Amavasya 2021: જાણો, મૌની અમાસનું શુભ મુહૂર્ત અને વ્રતનું મહત્ત્વ
નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
હિન્દૂ પંચાંગ અનુસાર માઘ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિને માઘી અમાસ અથવા મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ગંગા નદી અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ત્યારબાદ જરૂરતમંદોને દાન આપવામાં આવે છે. એવી માન્યતા છે કે મકર સંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન-દાનનું વિશેષ મહત્ત્વ છે અને આમ કરવાથી વ્યક્તિનું આત્મબળ મજબૂત થાય છે. દર મહિને 1 અમાસ હોય છે અને આ રીતે વર્ષમાં 12 અમાસ હોય છે જેમાંથી માઘ માસની અમાસ અને શ્રાવણ માસની અમાસનું ખાસ મહત્ત્વ હોય છે.
11 ફેબ્રુઆરી 2021 એ છે મૌની અમાસ
માઘ માસની અમાસ અથવા મૌની અમાસ આ વર્ષે 11 ફેબ્રુઆરી ગુરુવારના દિવસે આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ પીપળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. મૌની અમાસના દિવસે મૌન વ્રત રાખવાની પણ પરંપરા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મૌની શબ્દની ઉત્પતિ મુનિ શબ્દથી થયો છે એટલા માટે આ દિવસ મૌન રહેનાર વ્યક્તિને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે મૌન વ્રત નથી રાખી શકતા તો ધ્યાન રાખો કે ઘરમાં લડાઇ-ઝઘડા અને વિવાદ ન કરશો, ઊંચા સ્વરમાં ન બોલશો અને ન તો કોઇ અપશબ્દ બોલો.
મૌની અમાસનું શુભ મુહૂર્ત
માઘ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 10 ફેબ્રુઆરી અડધી રાત્રે 1 કલાકને 8 મિનિટે શરૂ થઇ રહી છે જે બીજા દિવસ 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે 12 કલાકે 35 મિનિટ સુધી રહેશે. જો કે ઉદયા તિથિ 11 ફેબ્રુઆરીએ આવી રહી છે એટલા માટે મૌની અમાસ 11 ફેબ્રુઆરી 2021એ મનાવવામાં આવશે. આ દિવસ શુભ છે તેથી આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે.
માઘ માસમાં આવતી અમાસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ ગંગા નદી અથવા અન્ય કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. જો ગંગા નદી સુધી જવુ શક્ય ન હોય તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને તેનાથી સ્નાન કરી શકીએ છીએ. ત્યારબાદ આખો દિવસ મૌન રહીને વ્રત કરો. સ્નાન બાદ જરૂરતમંદ લોકો તલ, અનાજ, ધાબળા, આમળા વગેરેનું દાન કરો. કોઇ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાઓ. આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ અથવા પિંડદાન પણ કરવું જોઇએ.