Mangal Gochar 2026: ગ્રહોનો સેનાપતિ અને અગ્નિ તત્વ વાળો ગ્રહ મંગળ ગુરુવાર, 2 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:37 વાગ્યે મીન રાશિમાં ગોચર કરશે. જળ તત્વ વાળી મીન રાશિમાં અગ્નિ તત્વ વાળા મંગળનું ગોચર વિરોધાભાસી છે. વધુમાં મીન રાશિમાં પહેલાથી જ બિરાજમાન શનિ સાથે મંગળની યુતિ થશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચાલો જ્યોતિષી રેણુ શર્મા પાસેથી જાણીએ કે મંગળ ગોચર અને મંગળ-શનિની યુતિ કઈ રાશિઓ માટે અશુભ સંકેત આપી રહી છે અને દેશ-દુનિયા પર તેની શું અસર પડી શકે છે.
14 એપ્રિલ સુધી 'અગ્નિપરીક્ષા'
આમ તો મંગળ 2 એપ્રિલ, 2026થી 11 મે 2026 સુધી મીનમાં જ રહેશે પરંતુ તેમાં 14 એપ્રિલ સુધીનો સમયગાળો વધુ મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે 14 એપ્રિલ સુધી સૂર્ય પણ મીનમાં રહેશે. ત્યારબાદ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. જોકે, મંગળ-શનિની યુતિ ત્યારબાદ પણ ચાલુ રહેશે. તેથી, એવું કહી શકાય કે 2 એપ્રિલથી 14 એપ્રિલ સુધીના 14 દિવસ ચાર રાશિઓ માટે 'અગ્નિપરીક્ષા'ની જેમ સાબિત થઈ શકે છે.
મેષ, વૃષભ, કન્યા અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું
મંગળ-શનિની યુતિ મેષ રાશિના જાતકોના સ્વભાવમાં આક્રમકતા વધારી શકે છે. ગુસ્સાથી બચવું નહીંતર ખોટું પગલું ભરી શકો છો. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. બીજી તરફ કન્યા રાશિના જાતકોએ પોતાની જીભ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ યુતિ મીન રાશિમાં જ બની રહી છે, તેથી મીન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આ સમય ધીરજથી પસાર કરો. તમારા લવ પાર્ટનર, લાઈફ પાર્ટનર હોય અથવા બિઝનેસ પાર્ટનર હોય તેમની સાથે ઝઘડો કરવાનું ટાળો. ચાલુ કામ અટકી શકે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
મીન રાશિમાં મંગળ-શનિની યુતિ લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે. તેથી, બચાવ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તમારા જીવનસાથી સાથે દલીલો ટાળો. માઈગ્રેનના દર્દીઓએ સારી લાઈફસ્ટાઈલ ફોલો કરવી અને મેડિટેશન કરવું. આ સમય દરમિયાન મોટા નિર્ણયો લેવાનું ટાળો. શેરબજાર-સટ્ટામાં પૈસા ન લગાવવા. આ સમય દરમિયાન શારીરિક સમસ્યાઓ વધશે, ખાસ કરીને પગમાં સમસ્યા થઈ શકે છે. એન્ઝાયટી, પેનિક એટેક આવી શકે છે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.
વિશ્વમાં પણ ઉથલપાથલના અણસાર
મીન રાશિમાં શનિ, મંગળ અને સૂર્યનું આવવું એ દેશ-દુનિયામાં પણ ઉથલપાથલ મચાવશે. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ જ્વાળામુખી ફાટવાની કે ભૂકંપ આવવાની આશંકા છે. આ સાથે જ રાજકીય ક્ષેત્ર સાથે સબંધિત મોટા સમાચાર સામે આવી શકે છે. સૂર્ય રાજકારણ અથવા લીડરશિપના કારક છે અને શનિ ન્યાયના દેવતા છે. જ્યારે મંગળ એક એવો ગ્રહ છે જે ઝડપી પરિવર્તન લાવે છે. આ ત્રણેય ગ્રહોનું એક સાથે આવવું એ એવા રાજનેતાઓના ચહેરા પરથી મુખોટો હટાવી શકે છે, જેઓ ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને ગેરવર્તણૂકમાં સંડોવાયેલા છે.
બચવાના ઉપાયો
મંગળ, શનિ અને સૂર્યની યુતિથી પડતા અશુભ પ્રભાવોથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા. આ સમય દરમિયાન તમારા હાથ નીચે કામ કરનારા લોકો અને લેબર ક્લાસ પર ધ્યાન આપો. આ લોકોને હેરાન કરવું ભારે પડી શકે છે. ખાવા-પીવાની વસ્તુનું દાન કરો, હનુમાનજીની પૂજા કરો. મંદિરમાં જઈને સેવા આપો. અહંકાર ટાળો. તમારા ગુરુ અને વડીલોના ચરણ સ્પર્શ કરો. વૃદ્ધોના આશીર્વાદ મેળવો.


