મહાકાલ કહેવાય છે ઉજ્જૈનના રાજાઃ જાણો મંદિર સાથે જોડાયેલી આ ખાસ વાતો
- મહાકાલ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે
ઉજ્જૈન, તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તમામ 13 જ્યોતિર્લિંગોમાં ત્રીજું ખૂબ જ ખાસ જ્યોતિર્લિંગ છે. મહાકાલને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે કોઈપણ શુભ કામ કરતા અગાઉ મહાકાલના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે. શિપ્રા નદીના કિનારે સ્થિત ઉજ્જૈનને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે.
આજે અમે તમને મહાકાલ મંદિર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો બતાવવા જઈ રહ્યા છીએ
1. મહાકાલ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. તેમને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે તેથી આ જ્યોતિર્લિંગને મહાકાલ મંદિર પણ કહે છે.
2. દર સોમવારના રોજ મહાકાલ મંદિરમાં નિર્વાણી અખાડાના સાધુ-સંતો દ્વારા ભસ્મની આરતી કરવામાં આવે છે. પ્રથમ ભગવાન મહાકાલને શીતળ જળથી સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. પીપળાના પાન, છાણા, બોરના ઝાડના પત્તાઓ અને પલાશને બાળીને તેમાંથી ભસ્મ તૈયાર કરવામાં આવે છે જેનાથી ભગવાન મહાકાલની આરતી કરવામાં આવે છે.
3. ઉજ્જૈનના મહાકાલ જ્યોતિર્લિંગથી થોડાક જ દૂર દેવી સતીના 51 શક્તિપીઠોમાંથી એક હરસિદ્ધિ માતાનું મંદિર છે. જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ આટલા નજીક હોવાના કારણે આ મંદિરનું મહત્વ વધી જાય છે.
4. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હજારો વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે મંદિર પરિસરનો વિસ્તાર રાજા વિક્રમાદિત્ય દ્વારા તેમના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો.
5. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ત્રણ ભાગોમાં વહેંચાયોલું છે. નીચેના ભાગમાં મહાકાલેશ્વર, મધ્ય ભાગમાં ઓમકારેશ્વર અને ઉપરના ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે. શ્રીનાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન માત્ર નાગ પંચમીના દિવસે જ થાય છે. આ દિવસે નાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.
6. મહાકાલને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વિક્રમાદિત્યના શાસન બાદ કોઈ રાજા અહીં રાત રોકાયા નથી. એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યકિતએ આ સાહસ કર્યું છે તેને ઘેરીને મારી નાખવામાં આવ્યા છે. તેથી આજ સુધી કોઈ મુખ્યમંત્રી અથવા વડા પ્રધાન ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ નથી કરતા.
7 आकाशे तारकेलिंगम् ,पाताले हटकेश्वरम्। मृत्युलोके च महाकालम् त्रयलिंगम् नमोस्तुते।।
શિવજીના આ મંત્ર પ્રમાણે સંસારમાં ત્રણ જ લોક છે, આકાશ, પાતાળ અને મૃત્યુ લોક. આકાશ લોકના સ્વામી તારકલિંગ, પાતાળ લોકના સ્વામી હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાળને કહેવામાં આવ્યા છ.
8. દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાકાલની સવારી કાઢવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન મહાકાલ પાલખીમાં સવાર થઈને નગર ભ્રમણ માટે નીકળે છે. મહાકાલ પાલખીમાં શિપ્રા નદીના કિનારેથી યાત્રા શરૂ કર્યા બાદ ઉજ્જૈન ભ્રમણ કરીને મંદિરમાં પાછા ફરે છે.
9. મહાકાલના ગર્ભગૃહમાં માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ બિરાજમાન છે.
10. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામે ઉજ્જૈનમાં આવેલા ઋષિ સાંદીપનીના આશ્રમમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યા કૃષ્ણની મુલાકાત સુદામા સાથે થઈ હતી. મહાકાલ મંદિરના દર્શન કરવા માટે આવેલા ભક્તો ઋષિ સાંદીપનીના આશ્રમના દર્શન જરૂર કરે છે.