મહાશિવરાત્રિ 2019 : આ 5 વસ્તુઓથી કરો શિવ પૂજા, મળશે મનવાંચ્છિત ફળ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2019, બુધવાર
દર વર્ષે ફાગણ માસની ચૌદશના દિવસે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. હિંદૂ ધર્મ અનુસાર આ પવિત્ર દિવસે પાર્વતી દેવી અને મહાદેવના વિવાહ થયા હતા. એટલા માટે જ આ દિવસે શિવાલયોમાં માતા પાર્વતી અને ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભોળાનાથ તેમના નામ અનુસાર જ ભોળા અને તુરંત પ્રસન્ન થનાર પ્રભુ છે. તેઓ પોતાના ભક્તની મનોકામના તુરંત પૂર્ણ કરી દે છે. પરંતુ તેના માટે ભક્તોએ પણ તેમને પ્રસન્ન કરવા પડે છે. શિવજીને પ્રસન્ન કરવાનું કામ કરવું પણ અત્યંત સરળ છે. શિવજીની પૂજા કરતી વખતે તેમને અતિપ્રિય એવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે અને ભક્તોના મનની મનોકામના પૂર્ણ કરે છે.
બીલીપત્ર
મહાદેવની પૂજામાં સૌથી ખાસ હોય છે બીલીપત્ર. કહેવાય છે કે શિવજીને ચઢાવેલા એક બીલીપત્રનું ફળ અને 1 કરોડ કન્યાનું કન્યાદાન કર્યાનું ફળ એક સમાન હોય છે. બીલીપત્ર સત્વ, રજ અને તમ ગુણનું પ્રતિક છે. તેને ચઢાવવાથી ત્રણ જન્મના પાપનો નાશ થાય છે.
ભાંગ
ભગવાન શિવએ હળાહળ વિષનું પાન કર્યું હતું. આ વિષના ઉપચાર તરીકે દેવતાઓએ અનેક જડીબુટ્ટીઓનો પ્રયોગ કર્યો હતો જેમાંથી એક ભાંગ હતી. ભાંગ ભગવાન શિવને અત્યંત પ્રિય પણ છે.
ધતૂરો
ભાંગની જેમ જ ધતૂરો પણ એક જડીબુટ્ટી છે. ભગવાન શિવ પરથી વિષનો પ્રભાવ દૂર થાય તે માટે ધતૂરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિના પર્વ પર જે ભક્ત શિવજીને ધતૂરો ચઢાવે છે તેના પરથી શત્રુ બાધા દૂર થાય છે અને ધન સંબંધિત ચિંતા જીવનમાં રહેતી નથી.
ગંગાજળ
ગંગાજળ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળી અને શિવજીની જટાઓમાં સમાઈ અને પછી ધરતી પર અવતરીત થયા હતા. તે તમામ નદીઓમાં પરમ પવિત્ર છે. ગંગાજળના અભિષેકથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
શેરડીનો રસ
જીવનમાં મીઠાસ અને સુખનો પ્રતીક છે શેરડીનો રસ. શેરડીનો રસ શિવજીને ચઢાવવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે.