- Libra
- 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર
ક્રાંતિવૃત ૧૮૦થી ૨૧૦ અંશ સુધીના ભાગમાં તુલા રાશિનો સમાવેશ થાય છે. તુલા રાશિ એ વાયુ તત્ત્વની ચર સ્વભાવની રાશિ છે. તુલા રાશિના સ્વામી શુક્ર તથા તુલા રાશિનું ચિહ્ન તુલાધારી માનવ જેણે ત્રાજવું ધારણ કર્યું છે. વાયુ તત્ત્વ અને ચલ રાશિ હોવાથી આ જાતકની બોલચાલમાં, દરેક કામમાં ઝડપ જોવા મળે છે. કોઈ પણ વાત ઝડપથી શીખી શકે. આ જાતકોની ઊંચાઈ સારી હોય અને બાંધો મધ્યમ હોય. ક્રોધ અસ્થાયી હોય. સ્વભાવે વાતોડિયા હોય, બધા સાથે આસાનીથી ભળી જાય. તુલા રાશિનો સ્વામી શુક્ર હોવાથી તેમને દરેક પ્રકારની કળા અને સૌંદર્ય પ્રત્યે ખેંચાણ રહ્યા કરે. શુક્રનો કારક હોવાથી તેઓ ખર્ચાળ અને ઉદાર પ્રકૃતિ ધરાવતા હોય.
મિત્રો સાથે સારી લેણદણ રહે. ચર રાશિ હોવાથી એક જગ્યાએ બેસી રહેવું તેમને ગમે નહીં. તેમના સ્વભાવમાં અસ્થિરતા જોવા મળે. તુલાધારી પુરુષનું ચિહ્ન હોવાના લીધે તેમને ન્યાયપ્રિય પણ ગણી શકાય. ત્રાજવું એ ન્યાયનું સૂચક છે. તેઓ ન્યાયપ્રિય હોય છે, બીજાઓનો સ્વાર્થ તરત પારખી શકે. તુલા રાશિમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનો સમાવેશ થાય છે.
અમિતાભ બચ્ચન - ૧૧ ઓક્ટોબર
રણબીર કપૂર ૨૮ સપ્ટેમ્બર
પરિણીતિ ચોપડા - ૧૨ ઓક્ટોબર
શરીર - મન - સ્વાસ્થ્ય
સ્વાસ્થ્યને પ્રથમ સુખ માનવામાં આવ્યું છે. તુલા રાશિના જાતકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની આપણે વાત કરીએ તો ૨૦૨૬ દરમિયાન ક્યારેક પેટમાં દુખાવાની તકલીફ થઈ શકે. અલબત્ત, લાંબી બીમારી ન થાય. ભાગ્ય ભુવનમાં બેઠેલા ગુરુ આપના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. નાની બીમારી પછી એમાંથી ઝડપથી બહાર આવી શકાશે. માનસિક સ્થિતિની વાત કરીએ તો આ જાતકો વિચારવાયુનો ભોગ બની શકે છે. દવા પાછળ પૈસા ખર્ચવા પડે. વિચારો પર અંકુશ રાખવા.
મારું ઘર મારો પરિવાર
પારિવારિક સંબંધોને વાત કરીએ તો, તુલા રાશિના જાતકો પરિવારપ્રિય હોય છે. લાગણીશીલ વ્યક્તિ હોવાને કારણે પરિવારજનો પ્રત્યે તેમને ઊંડી લાગણી હોય છે. ૨૦૨૬ પરિવાર માટે સુખ-શાંતિ લાવશે. કુટુંબીજનો સાથેના સંબંધમાં મીઠાશ જળવાઈ રહેશે. જૂન ૨૦૨૬ પછી ગુરુ મહારાજ કર્ક રાશિમાં બેસે અને પરિવારજનો સાથેનો સંબંધ વધારે મજબૂત બનાવે એવા યોગ પ્રબળ બને છે. આ વર્ષે પરિવારજનોનો સાથસહકાર મળી રહેશે. વાદવિવાદમાં વગર નિર્ણય પછી પહોંચી શકાય તેમ હોય તો આવી તક શા માટે ન ઝડપી લેવી?
પ્રેમ - લગ્ન - સંતતિ
તુલા રાશિના જાતકોની વાત કરીએ તો, લગ્નના મામલામાં ૨૦૨૬માં તેમણે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. ૨૦૨૬ વર્ષના અંત દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય. થોડીક ધીરજ રાખ્યા બાદ અચૂક સારાં પરિણામ મળે તેવા યોગ છે. જેઓ પ્રેમલગ્ન કરવા માગે છે એમણે પણ રાહ જોવી પડશે. પ્રેમમાં સફળતા મળે એવા યોગ છે. પંચમ ભાવમાં રાહુ મહારાજ બેઠા છે, તેથી તુલા રાશિના જે જાતકો સંતતિ માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમને ૨૦૨૬માં ગુડ ન્યુઝ મળશે.
ભણતર અને ગણતર
તુલા રાશિના જાતકોના વિદ્યાર્થીઓને ૨૦૨૬ વર્ષ ખૂબ મહેનત કરાવશે. દેખીતું છે કે જે મહેનત કરશે એનો સફળતા મેળવશે. ભણતરમાં મન ન લાગતાં બીજી પ્રવૃત્તિઓમાં મન પરવાઇ જાય, જેના પરિણામે ભણતર બગડી શકે તેવા યોગ પણ છે. તેથી ભણવા પર પૂરાપૂરું ધ્યાન એકત્ર કરવું. જે વિદ્યાર્થીઓ ડિગ્રી માટે પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમને આ વર્ષે ગુડ ન્યુઝ મળી શકે છે. જે વિદ્યાર્થીઓનું ભણતર ચાલુ છે તેમમે મહેનત કરવામાં જરાય પાછા ન પડવું.
નોકરી - ધંધો - વ્યવસાય
તુલા રાશિના નોકરીયાત જાતકો માટે ૨૦૨૬નું વર્ષ શુભ સાબિત થશે. છઠ્ઠા ભાવમાં બેઠેલા શનિ મહારાજ સારી નોકરી પ્રાપ્ત કરાવી શકે છે. વકીલાતને લગતું કામ કરનારા જાતકો માટે આ વર્ષ ખૂબ સફળ પૂરવાર થાય તેવા યોગ બને છે. જેમને લોન ન મળતી હોય અને જે જાતકો બિઝનેસ કરવા માગે છે તેમને જૂનથી ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન સારા સમાચાર મળશે. અલબત્ત, અમુક ધંધાર્થીઓએ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડે, કારણ કે શનિદેવ છઠ્ઠા ભાવમાં બેસીને દસમી દ્રષ્ટિથી સાહસ ભુવનને નજર કરતા હોવાથી કામ લંબાઈ શકે છે.
પૈસા યે પૈસા
શેરબજાર એક જોખમભર્યું સાહસ છે, પણ જો તુલા રાશિના જાતકો આ વર્ષે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોય તો એમના માટે ખૂબ સારો સમય છે. અલબત્ત, ઉતાવળ ન કરવી. સમજીવિચારીને રોકાણ સંબંધિત નિર્ણય લેશો તો ઉત્તમ પરિણામ મળશે. આંધળું સાહસ ન કરવું. વધારે લાલચ કરશો તો નાણાં ગુમાવવાનો વારો આવશે.
વાહન અને જમીન
વાહન, ઘર કે જમીન લેવા ઇચ્છતા તુલા રાશિના જાતકો માટે આ સારો સમય છે. વર્ષના શરૂઆતના છ મહિના દરમિયાન થોડીક ધીરજ રાખી અને પછીના છ મહિના દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો જમીન, મકાન અથવા સુખસગવડની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવા યોગ બને છે. સારા સમયને ઝડપી લેજો.
નારી તું નારાયણી
તુલા રાશિની યુવતીઓ માટે ૨૦૨૬નું વર્ષ લગ્ન માટે ઉત્તમ પૂરવાર થશે. અલબત્ત, વર્ષના અંત દરમિયાન થતી ગતિવિધિઓ સફળતાની શક્યતા વધારશે. વિદેશપ્રવાસ માટે પ્રયાસ કરતી મહિલાઓ, કે જેમને વિઝા મેળવવામાં સમસ્યા થઈ રહી છે, તેમનું કામ આ વર્ષે સારી રીતે આગળ વધશે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધીમાં સફળ થવાના યોગ પ્રબળ બને છે તેથી આ સમયગાળા દરમિયાન વિશેષ પ્રયાસ કરવા. નોકરી શોધતી મહિલાઓ માટે પણ આ સમયગાળો ઇચ્છિત પરિણામ લાવે તેવો છે. સંતાન ઈચ્છતી ીઓ માટે ૨૦૨૬નું આખું વર્ષ ખૂબ શુભદાયક પૂરવાર થઈ શકે તેમ છે.
વિશેષ ઉપાય
ભાગ્યમાં રહેલા અધિપત્ય ગ્રહ બુધને જો પ્રબળ બનાવવો હોય તો દર બુધવારે નાનાં બાળકોને ચોકલેટ આપવી. બની શકે તો શનિ મહારાજની આરાધના જરુર કરવી. હનુમાન ચાલીસાનું પઠન કરવું, શનિદેવના મંદિરે જવું. શુક્રવારે કોઈ પણ માતાજીની આરાધના કરવામાં આવે તો એમને પણ સારાં પરિણામ મળી શકે.


