દિવસમાં બે વાર પાણીમાં ડુબી જાય છે આ મંદિર, જાણો તેની વિશેષતા
અમદાવાદ, 26 મે 2019, રવિવાર
ભારતમાં હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. નાના મંદિરથી લઈ વિશાળ અને પ્રખ્યાત મંદિરો આપણા દેશમાં આવેલા છે. પરંતુ આજે તમને અહીં જે મંદિર વિશે જાણકારી આપવામાં આવી છે તે અન્ય કરતાં ખાસ અને અલગ છે. આ મંદિરની વિશેષતા એ છે કે તે દિવસમાં બેવાર પાણીમાં ડુબી જાય છે. પરંતુ જ્યારે પાણીમાંથી આ મંદિર બહાર આવે છે અને ભક્તો દર્શન કરવા મંદિરમાં જાય છે ત્યારે ભગવાન સાક્ષાત દર્શન આપતા હોવાની માન્યતા છે.
આ મંદિર છે સ્તંભેશ્વર મહાદેવનું, ગુજરાતના ભરુચ જિલ્લાના જંબૂસર તાલુકાના કાવી ગામમાં આવેલું છે આ મંદિર. અહીં સ્થાનિક લોકો ઉપરાંત દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. દૂરથી આવતા પર્યટકોમાં આ મંદિર વિશે જાણવાનો રોમાંચ હોય છે.
ભગવાન શંકરનું આ મંદિર દેખાવમાં સામાન્ય છે પરંતુ અહીં ભરતી અને ઓટના કારણે એક ચમત્કાર થાય છે. દિવસ દરમિયાન આ મંદિર સમુદ્રમાં જળમગ્ન થઈ જાય છે. મંદિરમાં શિવલિંગ ડૂબી જાય છે આ મંદિરનો ઉલ્લેખ શિવમહાપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. મંદિરની સ્થાપના વિશે માન્યતા છે કે 200 વર્ષ પહેલા રાક્ષસ તાડકાસુરએ તપ કરી અને શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવ પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું. તેણે અમર થવાનું વરદાન માંગ્યુ, શિવજીએ તેને અમરત્વ આપવાની ના કહી અન્ય વરદાન માંગવા કહ્યું. ત્યારબાદ રાક્ષસએ વરદાન માંગ્યું કે માત્ર શિવના સંતાન જ તેનો વધ કરી શકે. આ વરદાન મળ્યા બાદ તાડકાસુરએ પૃથ્વી પર ત્રાસ વરતાવ્યો. સમસ્ત ઋષિ અને દેવગણ પ્રાર્થના કરવા શિવજી પાસે પહોંચ્યા અને ત્યારે શિવ અને શક્તિના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો અને માત્ર 6 દિવસની ઉંમરે તેણે તાડકાસુરનો વધ કર્યો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યાં તાડકાસુરનો વધ થયો છે તે સ્થાન પર શિવાલય બને જેથી તેનું મન શાંત થાય. કાર્તિકેયએ આ સ્થાન પર સ્તંભેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું અને આજે પણ આ મંદિર પ્રખ્યાત છે.