Kharmas 2020 : આજથી ખરમાસ શરૂ થશે, જાણો શું હોય છે ખરમાસ?
- ખરમાસમાં એક મહિના સુધી શુભ કાર્યો પર પ્રતિબંધ શરૂ થઇ જાય છે
નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2020, મંગળવાર
સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઇ જશે. ખરમાસ 14 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. આજે રાત્રે 9:30 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતાં જ ખરમાસ શરૂ થશે અને 14 જાન્યુઆરી સવારે 08:15 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરમાસ સમાપ્ત થઇ જશે અને પવિત્ર સ્નાન દાનનું મુહૂર્ત શરૂ થઇ જશે. ખરમાસમાં લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ વગેરે માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. આ કારણથી હવે એક મહીના સુધી તમામ કાર્યો પર પ્રતિબંધ રહેશે.
શું હોય છે ખરમાસ?
સૂર્ય જ્યારે-જ્યારે બૃહસ્પતિની રાશિઓ ધનુ અને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ થાય છે કારણ કે સૂર્યના કારણે બૃહસ્પતિ નિસ્તેજ થઇ જાય છે. એટલા માટે ખરમાસમાં તમામ શુભ કાર્ય જેવા કે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ વગેરે કરવામાં આવતુ નથી કારણ કે શુભ કાર્યો માટે બૃહસ્પતિનું સાક્ષી હોવું આવશ્યક છે. આ માસમાં કોઇ નવા કાર્યની શરૂઆત કરવું ઉત્તમ નથી હોતું. સગાઇ, ગૃહ નિર્માણ પ્રારંભ, નવીન ગૃહ પ્રવેશ વગેરે પણ કરવામાં આવતા નથી.
ખરમાસમાં શું કરશો?
ખરમાસ દાન-પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ સમય હોય છે. આ સમયમાં કરવામાં આવેલા દાન-પુણ્યનું વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ માસમાં ગરીબોને અન્નદાન, ભોજનદાન, વસ્ત્ર દાન વગેરે કરવું જોઇએ. તેનાથી અશુભ ગ્રહની પીડા દૂર થાય છે. આ માસ જપ-તપ વગેરે માટે પણ ઉત્તમ હોય છે. આ માસમાં ઇષ્ટનું ધ્યાન, પૂજન, મંત્ર જાપ સર્વસિદ્ધિદાયક થાય છે. નવગ્રહ હવન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે.
ખરમાસમાં કરવા યોગ્ય કાર્ય :
1. જો કુંડળીમાં બૃહસ્પતિ ધનુ રાશિમાં હોય તો આ પરિસ્થિતિમાં પણ આ માસમાં શુભ કાર્ય કરી શકાય છે.
2. નિયમિત કરવામાં આવતા શુભ કાર્ય અથવા ધાર્મિક અનુષ્ઠાનમાં ખરમાસનું કોઇ બંધન નથી હોતું. તેથી આ પ્રકારના કાર્ય તમે આ માસમાં કરી શકો છો.
3. સીમન્ત, જાતકર્મ અને અન્નપ્રાશન વગેરે કર્મ પહેલાથી નક્કી હોવાને કારણે આ સમયગાળામાં કરી શકાય છે.
4. જો તમે ગયામાં કોઇનું શ્રાદ્ધ કરવાના છો તો તેમાં પણ ખરમાસનું કોઇ બંધન નથી હોતું.
5. કોર્ટ મેરેજમાં કોઇ પણ રીતે ખરમાસ બાધક નથી બનતું. તેથી કોર્ટ મેરેજ કરી શકો છો.
ખરમાસમાં આ મંત્રનો જાપ કરો
ખરમાસમાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:' નો જાપ કરવો જોઇએ. આ કાળમાં પીપળાની પૂજા પણ કરવી જોઇએ. જે લોકોને કોઇ પ્રકારની અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે તેમને ખરમાસની નવમી તિથિની કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ.