બિહારનું એ મંદિર જ્યાં જીવતે જીવ મળે છે મોક્ષ, લોકો જાતે જ કરે છે પોતાનું પિંડદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jandardan Temple: હિન્દુ ધર્મમાં પિંડદાન અને શ્રાદ્ધની પરંપરા ખૂબ જ જૂની અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે પિતૃ પક્ષના 15 દિવસ સુધી લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરે છે. વાસ્તવમાં આ સમય પૂર્વજોને યાદ કરવાનો અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો હોય છે. આ દરમિયાન દેશભરમાં લાખો લોકો પોતાના પૂર્વજોની આત્માઓના મોક્ષ માટે આ ધાર્મિક કર્મોમાં ભાગ લે છે.
સામાન્ય રીતે પિંડદાન વ્યક્તિના મૃત્યુ પછી જ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. બિહારના ગયામાં સ્થિત જનાર્દન મંદિરમાં લોકો જીવતે જીવ પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને આત્માને શાંતિ મળે છે. હવે સવાલ એ થાય છે કે, આ પરંપરા શા માટે ખાસ છે, લોકો જીવતે જીવ કેમ પિંડદાન કરે છે અને આ પવિત્ર સ્થાન પર કેવી રીતે પહોંચી શકાય? ચાલો તેના વિશે જાણીએ.
કેમ ખાસ છે ગયાનું જનાર્દન મંદિર?
ગયાનું જનાર્દન મંદિર અન્ય મંદિરોથી સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. આ મંદિર ભસ્મકૂટ પર્વત પર આવેલું છે અને પથ્થરોથી બનેલું છે. અહીં ભગવાન વિષ્ણુ જનાર્દનના રૂપમાં બિરાજમાન છે. સામાન્ય રીતે શ્રાદ્ધ અને પિંડદાન મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે, પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે અહીં જીવિત વ્યક્તિ ખુદ પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરે છે. પિંડદાનની આ પરંપરા હજારો વર્ષ જૂની છે, જે આજે પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે છે. આ અનોખી પરંપરાને કારણે, જનાર્દન મંદિર ભક્તોમાં ખાસ પ્રખ્યાત છે. ખાસ કરીને પિતૃ પક્ષના દિવસોમાં અહીં ભારે ભીડ ઉમટે છે.
કોણ કરે છે અહીં ખુદનું પિંડદાન?
જનાર્દન મંદિરમાં દરેક વ્યક્તિ પોતાનું પિંડદાન નથી કરતી. આ પરંપરા કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ નિભાવવામાં આવે છે. જે લોકોને બાળકો નથી, અથવા પરિવારમાં કોઈ પિંડદાન કરવા માટે નથી, એવા લોકો મૃત્યુ પહેલાં આ મંદિરમાં આવીને પોતાનું પિંડદાન કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો જે પરિવાર હોવા છતાં ત્યાગ અથવા સંન્યાસ લે છે, તેઓ પણ આ મંદિરમાં આવીને પોતાનું પિંડદાન કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેઓ જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે. આ એક એવી વિધિ છે જેને તેમના જીવનનો અંતિમ આધ્યાત્મિક તબક્કો માનવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું જનાર્દન મંદિર?
જનાર્દન મંદિર સુધી પહોંચવું ખૂબ જ સરળ છે, કારણ કે, તે મુખ્ય પરિવહન માર્ગો સાથે સારી રીતે જોડાયેલ છે.
રેલ માર્ગે
આ મંદિરની સૌથી નજીક મોટું રેલવે સ્ટેશન ગયા જંક્શન છે, જે અહીંથી લગભગ 10-12 કિલોમીટર દૂર છે. સ્ટેશન પાસેથી તમે સરળતાથી ઓટો, ટેક્સી અથવા તો સ્થાનિક બસ લઈને મંદિર પહોંચી શકો છો.
હવાઈ માર્ગ
સૌથી નજીકનું એરપોર્ટ ગયા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બોધગયા ઍરપોર્ટ છે, જે મંદિરથી લગભગ 15-18 કિલોમીટર દૂર છે. ઍરપોર્ટથી તમે ટેક્સી અથવા કેબ બુક કરી શકો છો અને સીધા મંદિર જઈ શકો છો.
રોડ માર્ગ
ગયા શહેર બિહારના અન્ય શહેરો જેમ કે પટના (લગભગ 100 કિમી) અને બોધગયા (લગભગ 15 કિમી) સાથે રોડ માર્ગથી સારી રીતે જોડાયેલું છે. તમે અહીં બસ, ટેક્સી અથવા તમારા વ્યક્તિગત વાહન દ્વારા પણ જઈ શકો છો.








