Guru Purnima 2020 : શું મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ હોય છે?
- જાણો, ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ અને ગીતાનું મહાજ્ઞાન
નવી દિલ્હી, તા. 05 જુલાઇ 2020, રવિવાર
આજે વ્યાસ પૂજા પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આ પર્વ પર પોતાના ગુરુ પ્રત્યે આસ્થા પ્રગટ કરવામાં આવે છે. હિન્દૂ પંચાગ અનુસાર અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ગુરૂ પૂજન કરવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસને ચારેય વેદના રચયિતા અને મહાભારત જેવા મહાકાવ્યની રચના કરનાર વેદ વ્યાસના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ
ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુઓ અને વડીલના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરૂ પૂજન કરવાની પરંપરા છે. મહર્ષિ વેદવ્યાસની જયંતી પર આ પર્વ મનાવવામાં આવે છે. ચાર વેદ, 18 પુરાણો, મહાભારતના રચયિતા અને કેટલાય અન્ય ગ્રંથોની રચના કરવાનો શ્રેય મહર્ષિ વેદ વ્યાસને આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરૂઓની પૂજા અને તેમને સન્માન આપવામાં આવે છે.
શું ગુરુ વિના મુક્તિ શક્ય છે?
ભારતીય સંસ્કૃતિ પુર્નજન્મ તેમજ કર્મના સિદ્ધાંત પર આધારિત છે. મનુષ્ય પોતાના વર્તમાન જીવનમાં જે પણ સારું અથવા ખરાબ કર્મફળ પ્રાપ્ત કરે છે, શાસ્ત્ર અનુસાર તે તેના પ્રારબ્ધ કર્મોના કારણે નક્કી થાય છે. 84 લાખ વિભિન્ન જન્મોમાં કરેલાં કર્મો અથવા સંસ્કારોના પુણ્ય કર્મોથી પ્રારબ્ધ બને છે. વેદાનુસાર, વર્તમાન જીવનમાં મનુષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે પુરુષાર્થ દ્વારા આગામી કર્મો કરતા સુખ, શાંતિ, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
ગુરુ કોણ હોય છે?
કોઇ વિષયમાં આપણને જેમનાથી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થાય, આપણા અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય, તે વિષયમાં તે આપણા ગુરુ છે. આ જ પ્રકારે, જે જ્ઞાની અથવા સતપુરુષ આપણને ધર્મશાસ્ત્રના જ્ઞાનથી આપણને પરમાત્મા સાથે જોડે છે તે આપણા ગુરુ હોય છે. ગુરુનું કામ મનુષ્યને પોતાની સાથે નહીં પરમાત્મા સાથે કનેક્શન જોડવાનું હોય છે. ભગવાન સાથેનો આપણો નાતો હંમેશાથી અને સ્વાભાવિક છે, કારણ કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ. ગીતા અધ્યાય 15, શ્લોક 7માં ભગવાન કહે છે, હે અર્જુન 'ममैवांशो जीवलोके जीवभूतः सनातन:।' એટલે કે આ સંસારમાં જીવિત આત્મા મારો જ સનાતન અંશ છે. જીવનનું પરમ સત્ય તો એ જ છે, મોકલ્યા પણ તેમણે છે અને જવાનું પણ તેમની પાસે જ છે. ગુરુ માત્ર આ ભૂલાઇ ગયેલા સંબંધનું માત્ર સ્મરણ કરાવે છે.
ગીતા અનુસાર ગુરુની વ્યાખ્યા
'गुकारश्चान्धकारो हि रुकारस्तेज उच्यते।
अज्ञानग्रासकं ब्रह्म गुरुरेव न संशयः।।'
ગીતા અનુસાર 'ગુ' નામ અંધકારનું છે અને 'રુ'નામ પ્રકાશનું છે. જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે તે જ ગુરુ છે. જે સાચા સંત-મહાત્મા હોય છે તેમને ગુરુ બનવાનો શોખ નથી હોતો, તેઓ સમસ્ત માનવતા અને સંસારના કલ્યાણની ઇચ્છા ધરાવે છે.
શું મનુષ્ય પોતે પોતાનો ગુરુ હોય છે?
આ સિદ્ધાંત છે કે જે બીજાને નબળા બનાવે છે તેઓ પોતે જ નબળા હોય છે. જે બીજાને સમર્થ બનાવે છે તે પોતે સમર્થ હોય છે. ભગવાન સૌથી મોટા છે એટલા માટે તેઓ કોઇને નાના નથી સમજતા. ભગવાન બધાને પોતાના મિત્ર બનાવે છે. શ્રીમદ ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે 'आत्मनो गुरुरात्मैव पुरुषस्य विशेषतः' એટલે કે મનુષ્ય તમે જ તમારા ગુરુ છો. આપણો વિવેક જ આપણો ગુરુ છે, ભક્તિ, ધ્યાનથી આપણો વિવેક જાગૃત થાય છે, જે સતત વધતા-વધતા તત્ત્વજ્ઞાનમાં પરિવર્તિત થઇ જાય છે.