Ganga Dussehra 2021: જાણો, ક્યારે છે ગંગા દશેરા? શું છે તેનું મહત્ત્વ?
નવી દિલ્હી, તા. 19 જૂન 2021, શનિવાર
હિન્દૂ કેલેન્ડર અનુસાર, દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમની તિથિએ ગંગા દશેરા મનાવવામાં આવે છે. ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે ગંગાનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કર્યા બાદ દાન-દક્ષિણા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપનો નાશ થાય છે. આ વર્ષે ગંગા દશેરાનું પર્વ 20 જૂન 2021ના દિવસે મનાવવામાં આવશે.
ગંગા દશેરાનું શુભ મુહૂર્ત :-
દશમ તિથિ આરંભ :- 19 જૂન 2021ની સાંજે 06 : 50 મિનિટ પર
દશમ તિથિ સમાપ્ત :- 20 જૂન 2021ની સાંજે 04 : 25 મિનિટ સુધી
ગંગા દશેરાનું મહત્ત્વ :-
હિન્દુઓમાં ગંગા દશેરાનું ઘણુ મહત્ત્વ હોય છે. આ દિવસે પૂજા-પાઠ, હવન અને મુંડન જેવા શુભ કામ કરવામાં આવે છે. આ દિવસે લોકો ગંગા નદીના કિનારે જઇને તપ, હવન, દાન અને જપ કરે છે. માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે જે પણ વસ્તુનું દાન કરો તેની સંખ્યા 10 હોવી જોઇએ. આ સાથે જ હિન્દુ પુરાણો અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગાનો જન્મ થયો હતો એટલા માટે ગંગા નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે.
ગંગા દશેરા પર આ વિધિથી પૂજા કરો :-
- સામાન્ય રીતે ગંગા દશેરા ગંગા નદીમાં સ્નાન કરીને મનાવવામાં આવે છે. પરંતુ તમે કોઇ પણ કારણથી ગંગામાં સ્નાન ન કરી શકો તો કોઇ પણ નદી અથવા આસપાસના જળાશયમાં સ્નાન કરી શકો છો.. તમે ઇચ્છો તો ઘરમાં પણ સ્નાન કરી શકો છો.
- સ્નાન દરમિયાન 'ૐ નમ: શિવાયૈ નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમ:' નો જાપ કરો.
- ત્યારબાદ 'ૐ નમ: શિવાયૈ નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ સ્વાહા' કરીને હવન કરો.
- ત્યારબાદ 'ૐ નમો ભગવતિ એં હ્રીં શ્રીં (વાક્-કામ-માયામયિ) હિલિ હિલિ મિલિ મિલિ ગંગે માં પાવય પાવય સ્વાહા.' આ મંત્રથી પાંચ પુષ્પાંજલિ અર્પણ કરીને ભગીરથ હિમાલયના નામે મંત્રથી પૂજા કરો.
- 10 ફળ, 10 દીવા અને તલનું 'ગંગાયૈ નમ:' કહીને દાન કરો. આ સાથે જ ઘી મિક્સ કરેલું સત્તૂ અને ગોળ પાણીમાં નાંખો..
- આ ઉપરાંત તલ, જવ, ઘઉં 10 બ્રાહ્મણને આપો.