આજે દુર્ગા અષ્ટમી, માતાને પ્રસન્ન કરવા વાંચો અષ્ટમીની કથા
અમદાવાદ, 9 જુલાઈ 2019, મંગળવાર
આજે એટલે કે 9 જુલાઈના રોજ દુર્ગાષ્ટમી છે. આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તે ગુપ્ત નવરાત્રિની અષ્ટમી છે. આ દિવસે સવારે સ્નાનાદિ કર્મ કરી શુધ્ધ થઈ અને માતાની પૂજા કરવી જોઈએ.
પૂજા પહેલા મંદિરને ગંગાજળથી શુદ્ધ કરી અને લાકડાની પાટ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર માતા દુર્ગાની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરવી. માતાની પૂજા કંકુ, ચોખા લગાવી કરવી અને પ્રસાદ ધરાવવો. આ દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને માતાને પ્રાર્થના પણ કરવી.
દુર્ગા અષ્ટમીની કથા
વર્ષો પહેલા પૃથ્વી પર અસુર શક્તિશાળી થઈ ગયા હતા. તે પોતાના અભિમાનના કારણે સ્વર્ગ પર ચઢાઈ કરવા પહોંચ્યા. તેમણે દેવતાઓનો પણ સંહાર કર્યો અને સ્વર્ગને બરબાદ કરવાનું શરૂ કર્યું. મહિષાસુર આ રાક્ષસોમાં સૌથી શક્તિશાળી હતો. તેનો નાશ થાય તે માટે ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માજીએ શક્તિ સ્વરુપ દેવી દુર્ગાને બનાવ્યા.
દરેક દેવતાએ દેવી દુર્ગાને હથિયાર પ્રદાન કર્યા. ત્યારબાદ આદિશક્તિ દુર્ગાએ પૃથ્વી પર આવી અને અસુરોનો નાશ કર્યો. માતા દુર્ગાએ મહિષાસુરની સેના સાથે યુદ્ધ કરી અને અંતમાં તેને મારી નાંખ્યો. તે દિવસથી અષ્ટમીની ઉજવણી કરવાની શરૂઆત થઈ. દુર્ગાષ્ટમીના પાવન દિવસે આ કથા સાંભળનાર અને વાંચનારને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.